મંદસૌર ફાયરિંગઃ પોલિસ, CRPFને ક્લિન ચિટ, ફાયરિંગ સિવાય વિકલ્પ નહિ
મધ્યપ્રદેશના મંદસૌરમાં ગયા વર્ષે ખેડૂતોના પ્રદર્શન પર પોલિસે લાઠીચાર્જ અને ફાયરિંગ કર્યુ હતુ તેમાં ઘણા ખેડૂતોના મોત થયા હતા. આ મામલે જસ્ટિસ જે કે જૈન કમિશને સીઆરપીએફના પોલિસ જવાનોને ક્લિન ચિટ આપી છે.
મધ્યપ્રદેશના મંદસૌરમાં જે રીતે ગયા વર્ષે ખેડૂતોના પ્રદર્શન પર પોલિસે લાઠીચાર્જ અને ફાયરિંગ કર્યુ હતુ તેમાં ઘણા ખેડૂતોના મોત થયા હતા. પરંતુ આ મામલે જસ્ટિસ જે કે જૈન કમિશને સીઆરપીએફના પોલિસ જવાનોને ક્લિન ચિટ આપી દીધી છે. ગયા વર્ષે 6 જૂન, 2017 ના રોજ મધ્યપ્રદેશના મંદસૌરમાં ખેડૂતોના પ્રદર્શનમાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે એક પ્રદર્શનકારીનું મોત લાઠીચાર્જના કારણે ડલોડામાં થયુ હતુ કે જે પ્રદર્શન સ્થળથી 20 કિલોમીટર દૂર હતુ.
પોલિસ, CRPF ને ક્લિન ચિટ
આ મામલે આ રિપોર્ટ 9 મહિના બાદ રજૂ કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે પોલિસ ફાયરિંગ આવશ્યક થઈ ગઈ હતી કારણકે ભીડ બેકાબુ થવા લાગી હતી. જો ફાયરિંગ કરવામાં ન આવી હોત તો ખેડૂતોનું પ્રદર્શન વધુ ઉગ્ર થઈ શકતુ હતુ. રિપોર્ટમાં ડીએમ સ્વતંત્ર કુમાર સિંહ અને એસપી ઓપી ત્રિપાઠી પર કોઈ પ્રકારનો આરોપ નથી લગાવવામાં આવ્યો. ઉલટાનું પોલિસના સૂચના તંત્ર પર સવાલ કરવામાં આવ્યા છે અને તેને નબળુ ગણાવવામાં આવ્યુ છે.
રાયફલના જવાનોને મારવાની કોશિશ
કમિશને પોતાના રિપોર્ટમાં કહ્યુ છે કે કોઈ પણ ખેડૂતે દેવામાફી કે પછી પાકના પોષણક્ષમ ભાવોની વાત નહોતી કરી. આ માંગને તો જિલ્લા સ્તર પર જ પૂરી કરી શકાતી હતી. રિપોર્ટ અનુસાર પોલિસ ફાયરિંગનો પહેલો મામલો પિપિલિયામંડીના બાહી પાર્શ્વનાથમાં સામે આવ્યો હતો જ્યાં ભીડે CRPF ના આઠ જવાનોને સમર્પણ માટે મજબૂર કરી દીધા હતા અને તેમના પર પત્થર ફેંકવાના શરૂ કરી દીધા હતા. ત્યારબાદ આ લોકોએ બે અન્ય જવાન વિવેક મિશ્રા અને ઉદય પ્રસાદને બંધક બનાવી લીધા અને તેમને તેમની જ રાયફલથી મારવા લાગ્યા. ત્રણ અન્ય સિપાઈ જે તેમને બચાવવા માટે આવ્યા તેમની સાથે પણ આ જ પ્રકારનો વ્યવહાર કર્યો.
જીવતા સળગાવવાની કોશિશના પુરાવા નહિ
રિપોર્ટ અનુસાર પ્રદર્શનકારીઓને ઘણીવાર ચેતવણી આપવામાં આવી પરંતુ ચેતવણી આપવા છતાં પણ પ્રદર્શનકારીઓએ હિંસા ચાલુ રાખી હતી ત્યારબાદ છેવટે જ્યારે પોલિસ અને CRPF પાસે કોઈ વિકલ્પ ન બચ્યો ત્યારે ફાયરિંગ કરવી પડી. જેમાં બે પ્રદર્શનકારીઓના જીવ ગયા જ્યારે ત્રણ લોકો ઘાયલ થઈ ગયા. જો કે રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે તેમને એ વાતનો કોઈ પુરાવો નથી મળ્યો કે પ્રદર્શનકારીઓ CRPF ના જવાનોને જીવતા સળગાવવા માંગતા હતા.
ફાયરિંગ સિવાય કોઈ વિકલ્પ નહિ
આ પૂરા પ્રકરણ પર રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે કુલ 1500-2000 લોકોની ભીડ આ પ્રદર્શનમાં શામેલ હતી કે જે પિપિલિયામંડી પોલિસ સ્ટેશન જઈ રહ્યા હતા. આ લોકોએ આખી બિલ્ડિંગને ઘેરી લીધી હતી અને તેને સળગવાવા માંગતા હતા. અહીં ધ્યાનમા લેવા જેવી વાત એ છે કે પોલિસ સ્ટેશનમાં પોલિસ હાજર હતી. જ્યારે પ્રદર્શનકારીઓને અશ્રુ ગેસના શેલ અને લાઠીચાર્જ ના રોકી શક્યા તો તેમના પર ફાયરિંગ સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહિ. જેમાં ત્રણ લોકોના જીવ ગયા અને ત્રણ લોકો ઘાયલ થઈ ગયા.
પ્રદર્શનકારીઓ પાસે હથિયારના પુરાવા નહિ
જસ્ટિસ જૈને પોતાના રિપોર્ટમાં કહ્યુ છે કે તેમને એ વાતના કોઈ પુરાવા મળ્યા નથી જે એ સાબિત કરે કે ભીડ પાસે કોઈ પણ પ્રકારના હથિયાર હતા અને તેણે પોલિસ પર તેનાથી હુમલો કર્યો હોય. વરિષ્ઠ વકીલ આનંદ મોહન માથુર કે જે પીડિતોના પક્ષના વકીલ છે તેમણે આખા રિપોર્ટની નિંદા કરી છે. તેમનુ કહેવુ છે કે આ રિપોર્ટ પૂરેપૂરો અસંતુષ્ટ છે. અમને ઘટના વખતે શું બન્યુ હતુ તે કહેવાનો મોકો પણ નથી આપ્યો. મને અનિલ ઠાકુર કે જે સ્ટેશન ઈન્ચાર્જ છે તેમની પૂછપરછ કરવાની પરવાનગી પણ આપવામાં આવી નથી.
કોંગ્રેસે રિપોર્ટ પર કર્યા સવાલ
પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથે પણ આ રિપોર્ટ પર સવાલ ઉભા કરતા કહ્યુ કે દોષીઓને બચાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યુ કે આ રિપોર્ટ બાદ ખેડૂતોને ન્યાય મળવાની આશા હવે ઘટવા લાગી છે. વળી ખેડૂતોએ પણ આ રિપોર્ટથી અસંતોષ વ્યક્ત કર્યો. આ ઘટનામાં પોતાના ભાઈને ગુમાવનાર અભિષેક પાટીદારનું કહેવુ છે કે અમને હવે આ તંત્રમા ભરોસો નથી. અમે એક વર્ષથી ન્યાયની રાહ જોઈ રહ્યા હતા પરંતુ આ રિપોર્ટે અમારી આશાઓ પર પાણી ફેરવી દીધુ.