મંગળની કક્ષામાં સ્થાપિત થયું મંગળયાન, નરેન્દ્ર મોદીએ આપ્યાં અભિનંદન
બેંગલુરૂ, 24 સપ્ટેમ્બર : આજે આપણા દેશ અને ઇંડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન એટલે કે ઇસરો માટે બહુ મોટો દિવસ છે. આજે સવારે ઇસરોના વૈજ્ઞાનિકોએ મંગળયાનને મંગળ ઉપર સફળતાપૂર્વક સ્થાપિત કરી દીધું. આ સફળતા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇસરોમાં હાજર તમામ લોકોને હૃદયપૂર્વક અભિનંદન આપતા કહ્યું કે આજે દેશ માટે ઐતિહાસિક દિવસ છે. મોદીએ જણાવ્યું કે આ મિશનનું નામ મૉમ હતું, તેથી હું જણાવી દઉં કે મૉમ ક્યારેય નિરાશ નથી કરતી.
આ અગાઉ ઇસરોના વૈજ્ઞાનિકોએ સફળતાપૂર્વક મંગળયાનને મંગળ ઉપર સ્થાપિત કરી દીધું. ભારત પહેલી વખત આ મુકામ હાસલ કરનાર પહેલો દેશ બની ગયો છે. આ યાદગાર દિવસના સાક્ષી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બન્યાં. મોદી વૈજ્ઞાનિકોનો ઉત્સાહ વધારવા સવારથી જ ઇસરોમાં પહોંચી ગયા હતાં.
જેવો મંગળયાન મિશન પૂર્ણ થયો કે એક સ્મિત ઇસરોમાં હાજર દરેક વૈજ્ઞાનિક અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા પર રેલાઈ ગયું. મોદીએ તાળીઓ વગાડી સૌને અભિનંદન પાઠવ્યાં અને જણાવ્યું કે આજની પળ દરેક ભારતીય માટે ગૌરવપૂર્ણ છે.
મિશન કાર્યક્રમના નિયામક એમ. અન્નાદુરાઈએ મીડિયાને માહિતી આપી કે મંગળ ગ્રહની કક્ષામાં અંતરિક્ષયાનના પ્રવેશના પગલે તેના મુખ્ય એંજિનને સવારે 7.17 વાગ્યે ચાલુ કરાયું અને 7.47 મિનિટે ઑર્બિટમાં પ્રવેશ કરાયું. સૌથી મોટી વાત એ છે કે આ અમારો પહેલો પ્રયત્ન હતો કે જેમાં અમે સફલ રહ્યાં. જે કામ નાસા ન કરી શક્યું, તે અમે કરી બતાવ્યું.
તેમણે જણાવ્યું - સોમવારે ચોથા સંશોધન બાદ ઉપકક્ષામાંથી મંગળ ગ્રહની કક્ષામાં પ્રવેશ કરવા માટે અંતરિક્ષ યાનની ઝડપ 22.2 કિલોમીટર પ્રતિ સેકેંડથી ઘટાડી 2.14 કિલોમીટર પ્રતિ સેકેંડ કરી દેવામાં આવી હતી. વૈજ્ઞાનિકોના અથક પરિશ્રમના પગલે મંગળ ગ્રહની કક્ષામાં પ્રવેશ કરવાના ક્રમમાં ભારતનું મંગળયાન સોમવારે મંગળ ગ્રહના ગુરુત્વ ક્ષેત્રમાં પ્રવેશ કરી ગયું. આ સાથે જ વૈજ્ઞાનિકોએ નવ માસ સુધી બંદ રહેલ તેના એંજિનને સફળતાપૂર્વક ચાલુ કરી આ બાબત તપાસી લીધી કે એંજિન પૂર્ણપણે સક્ષમ છે કે કેમ.