મનીષ સિસોદિયોનો મોટો દાવો, કહ્યું-CBI એ મારી ઓફિસ પર દરોડા પાડ્યા
મનીષ સિસોદિયા પોતે ટ્વીટ કરીને લખ્યુ કે, આજે ફરી સીબીઆઈ મારી ઓફિસ પહોંચી છે. તેમનું સ્વાગત છે. તેઓએ મારા ઘરે દરોડા પાડ્યા, મારી ઓફિસ પર દરોડા પાડ્યા, મારા લોકરની તલાશી લીધી, મારા ગામમાં તપાસ કરાવી.
નવી દિલ્હી : દિલ્હીમાં ફરી એક વખત આરોપો પ્રત્યારોપોનું બજાર ગરમ છે. બદનામ એક્સાઈઝ કૌભાંડમાં ફરીથી એક વખત આમ આદમી પાર્ટીએ ગંભીર આરોપો લાગ્યા છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ દાવો કર્યો છે કે, સીબીઆઈએ તેમની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. બીજી સરફ સીબીઆઈએ આ વાતને નકારી કાઢી છે. તેમણે કહ્યું કે દિલ્હી સચિવાલયમાં તેમની તરફથી કોઈ દરોડા પાડવામાં આવ્યા નથી. આમ આદમી પાર્ટીનો આરોપ છે કે ભાજપ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા પર દબાણ લાવવા માટે આ દરોડા પાડી રહી છે.
નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પોતે ટ્વીટ કરીને લખ્યુ કે, આજે ફરી સીબીઆઈ મારી ઓફિસ પહોંચી છે. તેમનું સ્વાગત છે. તેઓએ મારા ઘરે દરોડા પાડ્યા, મારી ઓફિસ પર દરોડા પાડ્યા, મારા લોકરની તલાશી લીધી, મારા ગામમાં તપાસ કરાવી. મારી સામે કંઈ મળ્યું નથી અને મળશે પણ નહીં, કારણ કે મેં કંઈ ખોટું કર્યું નથી. દિલ્હીના બાળકોના શિક્ષણ માટે નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે. અરવિંદ કેજરીવાલે આ ટ્વિટને રિટ્વિટ કર્યુ હતું.
એક તરફ મનીષ સિસોદિયા આરોપ લગાવી રહ્યા છે તો બીજી તરફ સીબીઆઈએ કહ્યું છે કે, તેની ટીમે ડેપ્યુટી સીએમના ઘર, ઓફિસ કે અન્ય કોઈ જગ્યાએ કોઈ દરોડા પાડ્યા નથી. દસ્તાવેજો સબમિટ કરવા માટે સિસોદિયા વિરુદ્ધ કલમ 91 CrPC નોટિસ જારી કરવામાં આવી હતી. આ દસ્તાવેજો એકત્ર કરવા ટીમ ઓફિસમાં ગઈ હતી. આ એક કાયદાકીય પ્રક્રિયા છે. આને દરોડા ન કહી શકાય.
અહીં તમને જણાવી દઈએ કે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે ઘણા મહિનાઓ પહેલા એક્સાઈઝ કૌભાંડની તપાસ સીબીઆઈને સોંપી હતી. ત્યારબાદ આ કેસમાં કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. સીબીઆઈએ સિસોદિયાના ઘર પર દરોડા પાડ્યા હતા. મનીષ સિસોદિયા પાસે એક્સાઈઝ વિભાગ છે.
આ મુદ્દે આમ આદમી પાર્ટીએ ટ્વીટ કરીને જણાવ્યુ કે, ફરી એકવાર મોદીની સીબીઆઈ મનીષ સિસોદિયાની ઓફિસમાં પહોંચી ગઈ છે. અત્યાર સુધી તેમણે કહ્યું નથી કે છેલ્લા દરોડામાં શું મળ્યું? કારણ કે ઘર, ઓફિસ, બેંક લોકર અને મનીષ જીના ગામની પણ શોધખોળ કર્યા પછી તેમને માત્ર એક ઝુંનઝુના જ મળ્યું.