ઈન્દિરા ગાંધી લેહ ગયા ત્યારે પાકિસ્તાનના બે ટૂકડા થયા હતા, હવે જોઈએ શું થાય છેઃ મનીષ તિવારી
પીએમ મોદીના પ્રવાસ બાદ કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ તેમની સરખામણી ઈન્દિરા ગાંધી સાથે કરી છે.
લદ્દાખમાં ચીન સીમા પર વિવાદ ચાલુ છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે અચાનક લેહ પહોંચી ગયા. તેમની સાથે સીડીએસ બિપિન રાવત અને સેના પ્રમુખ નરવાણે પણ હાજર રહ્યા. પીએમ મોદીએ ત્યાં સ્થિતિનુ નિરીક્ષણ કર્યુ. સાથે જ જવાનો સાથે વાત કરી. સીમા વિવાદ વચ્ચે પીએમ મોદીનો આ પ્રવાસ ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે. વળી, પીએમ મોદીના પ્રવાસ બાદ કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ તેમની સરખામણી ઈન્દિરા ગાંધી સાથે કરી છે.
હવે જોઈએ શું થાય છે
મનીષ તિવારીએ લેહમાં જવાનો સાથે કરીને ઈન્દિરા ગાંધીનો એક ફોટો પોસ્ટ કર્યો. તેમણે લખ્યો કે જ્યારે ઈન્દિરા ગાંંધી લેહ ગયા હતા ત્યારે પાકિસ્તાનને બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યુ હતુ. હવે જોઈએ શું થાય છે. મનીષ તિવારી તરફથી પોસ્ટ કરવામાં આવેલ ફોટો 1971નો છે. એ વર્ષે પાકિસ્તાન સાથે યુદ્ધ થયુ હતુ અને પૂર્વ પાકિસ્તાન(બાંગ્લાદેશ) આઝાદ થયુ હતુ. પીએમ મોદીના પ્રવાસ સાથે સાથે આ ફોટાની પણ ચર્ચા થઈ રહી છે.
|
14 કોરના અધિકારીઓ સાથે પણ મુલાકાત
પીએમ મોદીએ સેના, વાયુસેના અને ઈન્ડો-તિબેટ બૉર્ડર પોલિસ(આઈટીબીપી)ના સૈનિકો સાથે 11,000 ફૂટની ઉંચાઈ પર સ્થિત કેમ્પમાં વાત કરી. માનવામાં આવી રહ્યુ છે કે પીએમ મોદી 14 કોરના અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી શકે છે.
જવાનોની પણ કરશે મુલાકાત
પ્રધાનમંત્રી એ જવાનોની પણ મુલાકાત કરશે જે 15 જૂને ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણમાં ઘાયલ થઈ ગયા હતા. પીએમ મોદી અને સીડીએસ રાવત સાથે નૉર્ધન આર્મી કમાંડર લેફ્ટનન્ટ જનરલ વાયકે જોશી અને 14 કોર કમાંડર લેફ્ટનન્ટ જનરલ હરિંદર સિંહ પણ હાજર રહ્યા છે.