નવી દિલ્હી, 23 એપ્રિલ: મૌલાના મદનીએ બુધવારે પોતાના નિવેદનમાં જણાવ્યું કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ગુજરાત રમખાણ સમયે એક સારા મુખ્યમંત્રી ના બની શક્યા તો હવે એક સારા વડાપ્રધાન કેવી રીતે બની શકશે? તેમણે એ પણ જણાવ્યું કે ગુજરાત રમખાણોની વિરુધ્ધ દેશના કોઇ પણ નાગરિકને માફી નહીં પરંતુ ન્યાય જોઇએ.
બે દિવસ પહેલા એક ખાનગી ટીવી ચેનલના ઇન્ટરવ્યૂમાં મદનીએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી મુસલમાનોની વિરુધ્ધ નથી. તેમણે એ પણ જણાવ્યું હતું કે મોદીને મુસલમાનોની ટોપી પહેરવાની કોઇ જરૂરીયાત નથી કારણ કે એક મુસ્લિમ હોવાના નાતે માથા પર તિલક નથી લગાવી શકતો. મદનીએ એક બાજું મોદીને સમર્થન તો આપ્યું પરંતુ બુધવારે તેમના વિચારોમાં પરિવર્તન આવી ગયું.
વર્ષ 2002 દરમિયાન ગુજરાતમાં થયેલા ગોધરા કાંડનું ઉદાહરણ આપતા મદનીએ નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા. મદનીએ જણાવ્યું કે ગોધરા રમખાણ વખતે મોદીએ કોઇ પણ નક્કર પગલા ન્હોતા ભર્યા. જેનાથી સ્પષ્ટ થઇ જાય છે કે મોદી પોતાના શાસનકાળમાં એક સારા મુખ્યમંત્રી નથી રહ્યા. એવામાં એ વાતને કેવી રીતે માની લેવામાં આવે કે તેઓ દેશ માટે એક સારા વડાપ્રધાન બની શકે છે.