રાષ્ટ્રપતિના અભિભાષણ દરમિયાન સાંસદ ઇ અહમદને હૃદયરોગનો હુમલો
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી બજેટ સત્રની શરૂઆતમાં અભિભાષણ કરી રહ્યા હતા, એ સમયે કેરળના મલ્લપુરમથી મુસ્લિમ લીગના સાંસદ ઇ અહમદની તબિયત ખરાબ થઇ હતી.
31 જાન્યુઆરી, 2017 ને મંગળવારથી બજેટ સત્રની શરૂઆત થઇ છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી એ અભિભાષણ દ્વારા બજેટ સત્ર ની શરૂઆત કરી એ દરમિયાન સાંસદ ઇ અહમદની તબિયત બગડી હતી. અભિભાષણ દરમિયાન અચાનક જ ઇ અહમદને હૃદયરોગનો હુમલો થતાં તુરંત હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મુસ્લિમ લીગના સાંસદ ઇ અહમદ યૂપીએ સરકાર દરમિયાન રેલવે રાજ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે.
અહમદની તબિયત બગડતાં તેમને સંસદ ની નજીક ડૉ.રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. મૂળ કેરળના કન્નૂરના એવા ઇ અહમદ હાલ મલ્લપુરમના સાંસદ છે. અહમદ 1967-91 સુધી કેરળ વિધાનસભાના ધારાસભ્ય રહી ચૂક્યા છે. વર્ષ 1981-83 દરમિયાન તેઓ કન્નૂર મ્યૂનિસિપલ કોર્પોરેશનના અધ્યક્ષ રહ્યા હતા અને વર્ષ 1982-87 દરમિયાન તેમણે કેરળ સરકારમાં ઉદ્યોગ મંત્રી તરીકે પણ કામગીરી બજાવી હતી. વર્ષ 1991માં પહેલીવાર તેઓ લોકસભા માટે ચૂંટાયા હતા અને ત્યાર બાદ તેમણે પાછું ફરીને જોયું નથી.
7 વાર બન્યા સાંસદ
અહમદ પહેલીવાર 10મી લોકસભામાં ચૂંટયા હતા. જે પછી વર્ષ 2014ના જનલરલ ઇલેક્શનમાં તેઓ સાતમીવાર લોકસભા ચૂંટણી જીત્યા હતા. વર્ષ 2009-11 સુધી તેઓ યૂપીએ સરકારમાં રેલવે રાજ્યમંત્રી રહી ચૂક્યા છે. સંસદીય જીવનમાં આવ્યા બાદ અહમદ તમામ સંસદીય કમિટિના સભ્ય અને અધ્યક્ષ રહ્યાં છે. યૂપીએ સરકારના કાર્યકાળ દરમિયાન વર્ષ 2004થી 2009 સુધી તેઓ વિદેશ રાજ્યમંત્રી પણ બન્યા હતા.
અહીં વાંચો - બજેટ 2017-18: સામાન્ય બજેટથી દેશના લોકોને છે આ 5 અપેક્ષા