પદ્માવતી અંગે મેવાડ રાજઘરાનાએ સ્મૃતિ ઇરાનીને લખ્યો પત્ર
છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં ઘેરાયેલી સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીને સેન્સર બોર્ડ તરફથી લીલી ઝંડી મળ્યા પછી મેવાડના પૂર્વ રાજઘરાનાએ આ અંગે નારાજગી વ્યક્ત કરી છે
છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં ઘેરાયેલી સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીને સેન્સર બોર્ડ તરફથી લીલી ઝંડી મળ્યા પછી મેવાડના પૂર્વ રાજઘરાનાએ આ અંગે નારાજગી વ્યક્ત કરી છે. રાજઘરાનાના પ્રમુખ મહેન્દ્ર સિંહ મેવાડે સેન્સર બોર્ડ પર તેમને અંધારામાં રાખવાનો આરોપ મુક્યો છે. મહેન્દ્ર સિંહે આ અંગે કેન્દ્રિય પ્રસારણ મંત્ર સ્મૃતિ ઇરાનીને પત્ર લખ્યો છે. તેમણે સેન્સર બોર્ડના અધ્યક્ષ પ્રસૂન જોશીની કાર્યશૈલી પર સવાલ કર્યા છે.
ફિલ્મની રિલીઝમાં ઉતાવળ કેમ?
મહેન્દ્ર સિંહે કેન્દ્રિય પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાનીને લખેલ પત્રમાં સવાલ કર્યો છે કે, ફિલ્મની રિલીઝ અંગે ઉતાવળ શા માટે કરવામાં આવી રહી છે. જે રીતે સેન્સર બોર્ડે ફિલ્મને લીલી ઝંડી આપવામાં ઉતાવળ કરી છે, એનાથી બોર્ડની શાખ પર પ્રશ્નો થાય છે. જ્યારે વિવાદ થયો ત્યારે છ લોકોને આ ફિલ્મ બતાવવાની વાત કહેવામાં આવી હતી, પરંતુ આ વાયદો પૂર્ણ કરવામાં ન આવ્યો. બોર્ડે માત્ર ત્રણ લોકોને ફિલ્મ બનાવીને એવું વાતાવરણ ઊભું કરી દીધું કે ફિલ્મમાં બધું બરાબર છે. મહેન્દ્ર સિંહે પૂછ્યું કે, તેમના પુત્ર વિશ્વરાજ સિંહે કેન્દ્રિય સેન્સર બોર્ડને પત્ર લખીને ફિલ્મ સાથે જોડાયેલા કેટલાક સવાલોના જવાબ માંગ્યા હતા, પરંતુ એનો જવાબ આપવામાં ન આવ્યો.
કોઇ કટ વિના રિલીઝ થશે ફિલ્મ
પદ્માવતી વિવાદ પર શનિવારે સેન્સર બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન(સીબીએફસી) સ્પષ્ટ કર્યું હતું કે, ફિલ્મ કોઇ કટ વિના રિલીઝ કરવામાં આવસે. સીબીએફસીના સભ્ય વાણી ત્રિપાઠી ટિક્કૂએ સાફ કર્યું હતું કે, ફિલ્મ કોઇ કટ વિના અને નામમાં કેટલાક પરિવર્તન સાથે રિલીઝ કરવામાં આવશે. તેમણે પોતાની તરફથી સીબીએફસીનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું કે, પદ્માવતી અંગે અફવાઓ ફેલાવવાનું બંધ કરે, સીબીએફસી દ્વારા યૂએ સર્ટિફિકેટ માટે કોઇ સિન કટ કરવાનું નથી કહ્યું, માત્ર થોડા પરિવર્તનો અને નિર્માતાની મંજૂરી સાથે નામમાં પરિવર્તન કરવાનું કહેવામાં આવ્યું છે.
કરણી સેનાની ધમકી
સેન્સર બોર્ડ તરફથી આ ફિલ્મને મંજૂરી મળ્યા બાદ કરણી સેનાએ ધમકી આપી છે કે, જો ફિલ્મ રિલીઝ થઇ તો પરિણામ સારું નહીં આવે. રાજપૂત કરણી સેનાના સુખદેવ સિંહ ગોગામોદીએ કહ્યું કે, ફિલ્મનો રિવ્યુ કરવા માટે બનેલ કમિટીએ આનો વિરોધ કર્યો હતો, એવામાં ફિલ્મ રિલીઝ નહીં કરી શકાય. કરણી સેનાએ ધમકી આપી છે કે, દેશમાં જે પણ સિનેમા હોલમાં પદ્માવતી રિલીઝ થશે, એને બાળી નાંખવામાં આવશે. ફિલ્મ 1 ડિસેમ્બરના રોજ રિલીઝ થનાર છે, પરંતુ કરણી સેના, કેટલાક ભાજપ નેતાઓ અને બીજા સંગઠનોના વિરોધને કારણે ફિલ્મની રિલીઝ ટાળવામાં આવી હતી.