ભાજપને મોદી તો શું ભગવાન પણ નહીં બચાવી શકે: કેજરીવાલ
નવી દિલ્હી, 18 નવેમ્બર: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર અરવિંદ કેજરીવાલે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર ટિખળ કરતા જણાવ્યું છે કે ભાજપને મોદી તો શું ભગવાન પણ બચાવી નહીં શકે.
ભ્રષ્ટાચાર સમાપ્તિને દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય મુદ્દો બનાવનાર કેજરીવાલે અત્રે વૂમેન્સ પ્રેસ કોરમાં પત્રકારોના સવાલના જવાબમાં જણાવ્યું કે ભાજપને મોદી તો શું હવે ભગવાન પણ નહીં બચાવી શકે. તેમને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે શું મોદીના નેતૃત્વમાં તેઓ ભાજપને કોઇ પ્રકારનો પડકાર માની રહ્યા છે.
જ્યારે ચૂંટણીમાં કોંગ્રેસની કમાન સંભાળના ર ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અંગે પ્રશ્નના જવાબમાં કેજરીવાલે જણાવ્યું કે જનતા કોંગ્રેસથી કંટાળી ગઇ છે. કેજરીવાલે એવો દાવો કર્યો છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 'આપ' ઓછામાં ઓછી 47 બેઠકો પર વિજય મેળવશે.
આરોપ પ્રત્યારોપની રાજનીતિથી પોતાને બચાવતા 'આપ' નેતાએ જણાવ્યું કે આ પ્રકારની રાજનિતીથી દેશનું ભલુ થવાનું નથી, અને સાચી રીતે આ રાજનીતિ પણ નથી. તેમણે જણાવ્યું કે રાજનીતિ તો એ હતી જે લાલબહાદુર શાસ્ત્રીએ કરી, સરદાર પટેલે કરી.
તેમણે જણાવ્યું કે ભ્રષ્ટાચાર માટે ભાજપા અને કોંગ્રેસને બરાબર જવાબદાર ગણાવતા કહ્યું કે આજે જે રાજનીતિ થઇ રહી છે, તે રાજનીતિ નથી બલકે દલાલી છે. કેજરીવાલે જણાવ્યું કે શરૂઆતમાં જ કહ્યું હતું કે અમે ભાજપ અને કોંગ્રેસને રાજનીતિ શીખવીશું અને આજે એ જ થઇ રહ્યું છે. 'આપ' જે પણ નીતિગત જાહેરાત કરે છે, ભાજપ અને કોંગ્રેસ દસ દિવસ બાદ તેનું અનુકરણ કરે છે.