લક્ષ્મીબાઇના 'કિલ્લા'થી ગરજશે મોદી, કોણ રહેશે નિશાના પર!
ઝાંસી, 25 ઓક્ટોબર: ઉત્તર પ્રદેશના ઝાંસી શહેરમાં સ્થિત મહારાણી લક્ષ્મીબાઇના કિલ્લા જેવા જ તૈયાર કરાયેલા મંચ પરથી આજે ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી લોકોને સંબોધિત કરશે. અત્રે મોદી કોંગ્રેસ અને કુમાર રાહુલ ગાંધીને આડે લે તેવી શક્યતા છે.
કાનપુરની રેલીમાં જે રીતે મોદીએ સ્થાનિય સમસ્યાઓને કેન્દ્રમાં રાખીને ભાષણ કર્યું હતું, ત્યારબાદ ઝાંસીમાં પણ બુંદેલખંડ પેકેજના બહાને લોકોને આકર્ષિત કરતા દેખાશે. આની વચ્ચે સૂત્રોની માનીએ તો મધ્યપ્રદેશમાંથી પણ ભીડ એકત્રીત કરવાની તૈયારી ચાલી રહી છે.
મોદીની ઉત્તર પ્રદેશમાં આ બીજી રેલી છે. આ પહેલા કાનપુરની રેલીમાં મોટી સંખ્યામાં એકત્રિત થયેલી ભીડથી ઉત્સાહિત મોદીએ કોંગ્રેસની દુ:ખતી નસ પર હાથ મૂકી દીધો છે. કાનપુરમાં બંધ પડેલા ઉદ્યોગ ધંધા અને આઝાદીમાં તેમના યોગદાનનો ઉલ્લેખ કરીને તેમના પડખે ઊભા રહેવાનો પ્રયત્ન કર્યો હતો. પાર્ટી સૂત્રોનો દાવો છે કે મોદી ઝાંસીમાં પણ સ્થાનીય સમસ્યાઓને જ ઉઠાવશે.
ભાજપાના પ્રદેશ પ્રવક્તા વિજય બહાદુર પાઠકે જણાવ્યું કે પાર્ટી માટે વિકાસ હંમેશા મુદ્દો રહ્યો છે અને પાર્ટી પોતાની રેલીઓમાં વિકાસને જ પોતાનો મુદ્દો બનાવશે. ભાજપાએ ઝાંસીમાં જોરદાર તૈયારી શરૂ કરી દીધી છે. આ વિસ્તારમાં ચારેય લોકસભા વિસ્તાર બાંદા, ઝાસી, લલિતપુર, હમીરપુર અને જાલૌનથી પણ ભીડ એકત્રીત કરવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભાજપાના પ્રદેશ અધ્યક્ષ ડૉ. લક્ષ્મીકાંત વાજપેયીનો દાવો છે કે માત્ર ચાર લોકસભા વિસ્તારના લોકો જ આવી રહ્યા છે. તેમનો દાવો છે કે આ વિસ્તારના પ્રત્યેક બુથથી કાર્યકર્તાઓ આવી રહ્યા છે. તેમનુ માનવું છે કે આ રેલી બુંદેલખંડીની ઐતિહાસિક રેલી સાબિત થશે.