પ્રધાનમંત્રી સર્જીકલ સ્ટ્ર્રાઇકને અંજામ આપનારા બહાદૂર જવાનોને મળશે
હાલમાં જ પાકિસ્તાન અધિક્રુત કાશ્મીરમાં ભારત તરફથી જે પેરા કમાંડોએ સર્જીકલ સ્ટ્રાઇક કરી હતી, તેઓ ટૂંક સમયમાં દિલ્હી આવી શકે છે. વાસ્તવમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સર્જીકલ સ્ટ્રાઇકના બધા જવાનોને મળી તેમને અભિનંદન આપવા માંગે છે.
આવનારા દિવસોમાં પીએમ મોદી સમયની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને સર્જીકલ સ્ટ્રાઇકને અંજામ આપનારા કમાન્ડોઝને મળી શકે છે. હજુ સુધી પીએમ મોદીએ સર્જીકલ સ્ટ્ર્રાઇક પર કોઇ આધિકારીક નિવેદન આપ્યુ નથી. ગયા વર્ષે પણ, મ્યાનમારમાં થયેલી સ્ટ્ર્રાઇક બાદ તેઓ એને અંજામ આપનાર 21 પેરા સ્પેશિયલ ફોર્સને ગુપચૂપ જ મળ્યા હતા. આ ફોર્સે મ્યાનમારમાં ઘૂસીને ત્યાં ચાલી રહેલા ઘણા આતંકવાદી કેમ્પોને નષ્ટ કરી દીધા હતા.
ઉલ્લેખનીય છે કે 29 સપ્ટેમ્બરે ભારતીય સેનાએ પાકિસ્તાન અધિક્રુત કાશ્મીરમાં સર્જીકલ સ્ટ્રાઇક કરી હતી. આ સ્ટ્ર્રાઇકમાં પાકિસ્તાન અધિક્રુત કાશ્મીરમાં ચાલી રહેલ 7 આતંકવાદી છાવણીઓને નિશાન બનાવાઇ હતી. આ સ્ટ્રાઇકમાં આશરે 38 આતંકવાદીઓ માર્યા ગયાની સંભાવના જણાવાઇ રહી છે.