નરેન્દ્ર મોદી આજે નીતિશના બિહારમાં આક્રમક સંબોધન કરશે
ગાંધીનગર, 6 જુલાઇ : ભાજપના ટોચના નેતાઓની ગુરુવારે મળેલી બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણી 2014 માટેના મુખ્ય રણનીતિકાર તરીકે આગળ કરવામાં આવ્યા બાદ નરેન્દ્ર મોદીએ પણ પોતાની જવાબદારી સમજીને આજે સાંજે નીતિશ કુમારના બિહારમાં પ્રદેશ ભાજપના 1500 જેટલા ટોચના નેતાઓ અને કાર્યકરોને ટેલિકોન્ફરન્સથી સંબોધન કરવાનું આયોજન ગોઠવ્યું છે.
નરેન્દ્ર મોદીએ પોતાના ચૂંટણી વ્યૂહમાં બિહારને આરંભ સ્થાન ગણવું ખૂબ મહત્વનું માનવામાં આવે છે અને આ બાબત અનેક સંકેતો આપે છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે નરેન્દ્ર મોદીને ભાજપના ચૂંટણી પ્રચાર સમિતીના અધ્યક્ષ બનાવતા જ ભાજપ સાથેના 20 વર્ષ જૂના સંબંધોનો અંત લાવી દીધો હતો. નીતિશ કુમારની પાર્ટી જનતા દળ (યુનાઇટેડ) એટલે કે જેડીયુ ગયા મહિના સુધી બિહારમાં ભાજપ સાથે રહીને સરકાર ચલાવી રહી હતી.

હવે જ્યારે લોકસભા ચૂંટણી 2014 આવતા વર્ષે આવી રહી છે ત્યારે નરેન્દ્ર મોદીએ ભાજપના અગ્રણી નેતાઓ અને કાર્યકરો સાથે ચૂંટણી વ્યૂહને કેન્દ્રમાં રાખીને વાત કરવાનું શરૂ કર્યું છે. આજે નરેન્દ્ર મોદી જે 1500 ભાજપી નેતા અને કાર્યકરોને સંબોધન કરવાના છે તેમને 3 જૂથમાં વહેંચવામાં આવશે.
પ્રથમ જૂથમાં રાજ્ય કારોબારીના સભ્યો અને જિલ્લાના કારોબારી સભ્યોને આવરી લેવામાં આવશે. બીજા જૂથમાં જિલ્લા અને તાલુકા કક્ષાના પ્રમુખોને આવરી લેવામાં આવશે. જ્યારે ત્રીજા જૂથમાં પાયાના સ્તરના પાર્ટીના કાર્યકરો અને સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા કાર્યકરોને આવરી લેવામાં આવનાર છે.
આ જ મહિનામાં નરેન્દ્ર મોદી ઓરિસ્સાની મુલાકાત લેવાના છે. ત્યારે બાદ જુલાઇના અંતમાં તેઓ આંધ્રપ્રદેશના હૈદરાબાદની મુલાકાત પણ લેવાના છે. નરેન્દ્ર મોદીએ પોતાનું ચૂંટણી વ્યૂહ અભિયાન બિહારથી શરૂ કરવા પાઠળનું એક કારણ એ છે કે ગોવાની રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં તેમને બિહારના ભાજપા કાર્યકરોનો ઉત્સાહિત સપોર્ટ મળ્યો હતો. ત્યાર બાદ બિહારમાં જેડીયુ સાથે સંબંધોનો અંત આવ્યો. આ કારણે ભાજપના કાર્યકરોનું મનોબળ ફરી મક્કમ બને અને તેઓનો ઉત્સાહ વધે તે માટે નરેન્દ્ર મોદીએ બિહારને પસંદ કર્યું છે.
આ દરમિયાન નીતિશ કુમારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને અનેક વાર ભાગલાવાદી અને 2002ના ગોધરાકાંડ બાદના રમખાણોમાં વિધ્વંસક તરીકે નામ લીધા વિના સંબોધ્યા છે. બિહારમાં ભાજપ સાથેનો સંબંધ તોડતા પહેલા પણ નીતિશ કુમારે બિહારમાં નરેન્દ્ર મોદીને પ્રચાર કરવા માટે આવવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ બાબતને ભાજપે સ્વીકારી હતી.












Click it and Unblock the Notifications
