ખટ્ટર બન્યા હરિયાણાના નવા મુખ્યમંત્રી, વડાપ્રધાન બન્યા સાક્ષી
ચંદીગઢ, 26 ઓક્ટોબર: હરિયાણામાં આજે રવિવારે ભારતીય જનતા પાર્ટીના પહેલા મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરના શપથ ગ્રહણ સમારંભમાં તમામ દિગ્ગજોએ પણ હાજરી આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લાલ કૃષ્ણ અડવાણી, મનોહર જોશી, ઘણા કેન્દ્રીય મંત્રી, ભાજપા શાસિત પ્રદેશોના મુખ્યમંત્રી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ સહિત ઘણા વરિષ્ઠ નેતાઓ આ સમારંભમાં હાજરી આપી હતી. શપથ ગ્રહણ સમારંભ પંચકૂલાના સેક્ટર પાંચમાં યોજાયો હતો. હરિયાણાના રાજ્યપાલ કપ્તાન સિંહ સોલંકી ખટ્ટરને પદ અને ગોપનીયતાના શપથ અપાવ્યા હતા.
આ પહેલા પંચકૂલામાં વ્યવસ્થાની સમીક્ષા બાદ ભાજપના વરિષ્ઠ નેતા તથા વિધાયક અનિલ વિઝે જણાવ્યું, 'સમારંભમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. પહેલી વાર સામાન્ય જનતા પણ આ સમારંભને જોઇ શકશે. સમારંભ માટે અમે લોકો દરેક પ્રકારની વ્યવસ્થા કરી રહ્યા છીએ. વર્ષ 1966માં રાજ્યના ગઠન બાદ હરિયાણામાં ખટ્ટર ભાજપના પહેલા મુખ્યમંત્રી બનશે.'