બુલંદશહરમાં મોદીએ કર્યા કોંગ્રેસ સપા પર પ્રહાર
બુલંદશહર, 26 માર્ચઃ જમ્મુમાં જન મેદનીને સંબોધ્યા બાદ ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં સભા સંબોધી છે. જ્યાં તેમણે કોંગ્રેસ, યુપીએ સરકાર, યુપી સરકાર અને શેહજાદા પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, શેહજાદાની સામે ચા વેચનારો ઉભો રહ્યો છે, તેઓ મોદીથી ડરી રહ્યાં છે કારણ કે તેમણે દેશને લૂટ્યો છે અને તેમને ખબર પડી ગઇ છે કે શું પરિણામ આવવાનું છે.

તેમણે કોંગ્રેસ પર અને ખાસ કરીને રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, એક તરફ શેહજાદા છે તો બીજી તરફ ચા વેચનારો છે. તે નામદાર છે અને આ કામદાર છે. એકવાર જવાબદારી મળશે તો અમે ક્ષણભર પણ આરામ કરવાના નથી. દરેક સમય લોકો માટે હશે. ઉત્તર પ્રદેશે ઘણું ગુમાવ્યું છે. અહીં ઘણી નદી છે, તેમ છતાં ખેડૂતો બરબાદ થઇ રહ્યાં છે, યુવાનોએ નોકરી માટે ઘર છોડવા પડી રહ્યાં છે.
અહીંના શેરડીના ખેડૂતોએ લોકોના જીવનમાં મીઠાશ ભેળવી દીધી હતી, પરંતુ આજે તેમનું જીવન કડવું બની ગયું છે. અમે ગુજરાતમાં ખેડૂતો અને તેમની જમીનને મદદરૂપ થાય તેવી લેબ લીધી છે, ખેડૂતોની જમીન સુધી જાય છે અને તેમને મદદ કરે છે. અમારા ખેડૂતો રેતીને સોનામાં પરિવર્તિત કરી શકે છે. મુખ્યમંત્રી તેમના સમુદાયના હોવા છતાં પણ એ લોકો સાથે શું થયું જે પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. લઘુ ઉદ્યોગો બંધ થઇ રહ્યાં છે, જેના કારણે યુવાનોને નોકરી નથી મળી રહી. તેમણે તમારો વિશ્વાસ અને વચનો તોડ્યા છે. જે લોકોએ તમારો વિશ્વાસ તોડ્યો છે, તેમની સાથે નાતો તોડી નાખો.
આ ઉપરાંત મોદીએ સેક્યુલારિઝમને લઇને પ્રહાર કરતા કહ્યું છે કે, અમે જ્યારે રોજગારી, આતંકવાદ, મોંઘવારી, ભ્રષ્ટાચારની વાત કરીએ છીએ તો તેઓ સેક્યુલારિઝમને આગળ ધરી દે છે. જે લોકો પાસે 120 કરોડ દેશવાસીઓના પ્રશ્નોનો જવાબ, પોતાના પાપોનો હિસાબ નથી આપી શકતા એટલા માટે સેક્લુરાઝિમનો સહારો લઇ રહ્યાં છે. અમારે એકતા, વિકાસ અને ભાઇચારો જોઇએ છે, અમારે આગળ વધવું છે.
નોંધનીય છે કે જમ્મુમાં જમ્મુમાં ચૂંટણી રેલી સંબોધતી વેળા મોદીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું છે કે પાકિસ્તાન પાસે ત્રણ AK છે, એક AK 47, AK એન્ટોની અને AK 49(કેજરીવાલ). આ ત્રણેયને ઓળખી લેવાની દેશવાસીઓને જરૂર છે.












Click it and Unblock the Notifications
