મોદી પહોંચ્યા દિલ્હી, લાગી શકે છે પીએમ પદના ઉમેદવારની મહોર
નવી દિલ્હી/અમદાવાદ, 1 ઑગસ્ટ : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ભાજપા દ્વારા આયોજિત બેઠકમાં હાજરી આપવા માટે આજે દિલ્હી પહોંચી ગયા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર બીજેપી તરફથી નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી પદના ઉમ્મેદવાર બનાવવા નિશ્ચિત છે. બીજેપી અને આરએસએસની મહત્વની બેઠક આજે મળવા જઇ રહી છે, જેમાં આગામી લોકસભા ચૂંટણીને પગલે મહત્વના નિર્ણયો લેવાઇ શકે છે.
અહેવાલ અનુસાર આ બેઠકમાં બીજેપીના બધા દિગ્ગજ નેતાઓ અને આરએસએસના વરિષ્ઠ હોદ્દેદારો આ બેઠકમાં હાજરી આપશે. રાજનાથ સિંહ, નરેન્દ્ર મોદી, સુષમા સ્વરાજ અને મોહન ભાગવત આ બેઠકમાં હાજરી આપવાના છે. જોકે બીજેપીના વરિષ્ઠ નેતા એલ કે અડવાણી આ બેઠકમાં હાજરી નહીં આપે.
પાર્ટીની ઇચ્છા આ વર્ષના અંતમાં એટલે કે નવેમ્બરમાં પાંચ રાજ્યોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં મોદીની લોકપ્રિયતાનો ઉપયોગ કરવાનો છે. એનાથી એવાત ને બળ મળે છે કે વિધાનસભા ચૂંટણીને પગલે સપ્ટેમ્બરમાં ચૂંટણી પંચની અધિસૂચનાથી પહેલા મોદીના નામની જાહેરાત કરી શકાય છે.
આજની બેઠકમાં બીજેપી અધ્યક્ષ રાજનાથ સિંહ આરએસએસના શ્રેષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરશે. એ વાતની સંભાવના છે કે સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખતા બેઠકમાં પાર્ટીની બ્લૂ પ્રીન્ટને અંતિમ ઓપ આપવામાં આવે. આ કવાયતને પગલે મોદીના નામ પર પણ અંતિમ નિર્ણય લેવાઇ શકે છે.
ભાજપાની પ્રદેશ સમિતિએ એક જાહેરાતમાં જણાવ્યું હતું કે ગુરુવારે યોજાનાર પાર્ટીની રાષ્ટ્રીય બેઠકમાં ભાગ લેવા માટે નરેન્દ્ર મોદી પણ જવાના છે. તાજેતરમાં ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ બનેલા નરેન્દ્ર મોદી સાથે લોકસભામાં ભાજપના ઉપનેતા ગોપીનાથ મુંડેએ તેમન કાર્યાલયમાં મુલાકાત કરી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રી અને મુંડે વચ્ચે આ બેઠક બે કલાક ચાલી હતી.