29 સપ્ટેમ્બરે નવી દિલ્હીની રેલીમાં છવાશે મોદીનો હાઇટેક કરિશ્મા
નવી દિલ્હી, 25 સપ્ટેમ્બર : દિલ્હીમાં ભાજપ નરેન્દ્ર મોદીની રેલીને ઐતિહાસિક બનાવવાનો દાવો કરી રહી છે. આ માટે રેલીને સંપૂર્ણ રીતે હાઇટેક બનાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. દિલ્હી ભાજપ મોદીની રેલીને લઇને એટલી ઉત્સાહિત છે કે રાજધાનીમાં 20 જગ્યાઓ પર લાલ કિલ્લાના બેકગ્રાઉન્ડવાળી કાઉન્ટડાઉન વૉચ ગોઠવવામાં આવી છે.
દિલ્હી ભાજપે નરેન્દ્ર મોદીની રેલીની ઉલટી ગણતરી શરૂ કરી દીધી છે. નરેન્દ્ર મોદીને રેલીમાં માત્ર નરેન્દ્ર મોદી છવાયેલા રહે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. આ માટે ભાજપના અન્ય તમામ મોટા નેતાઓ આ રેલીથી દૂર રહેવાના છે.
આ રેલી માટે ત્રણ મંચ બનાવવામાં આવ્યા છે. જેમાં મોદીનો મંચ અલગ હશે. આ મંચ સપૂર્ણ રીતે ડિજિટલ હશે. મોદીના ભાષણ માટે 10 ફૂટ ઊંચું પોડિયમ બનાવવામાં આવ્યું છે. જેમાં હાઇટેક સાઉન્ડ સિસ્ટમ ગોઠવવામાં આવી છે. આ સિસ્ટમ એવી છે જેનાથી રેલીમાં સૌથી પાછળ બેઠેલી વ્યક્તિને પણ લાગશે કે મોદી તેમની બાજુમાં જ આવીને બોલી રહ્યા છે.
રેલી સ્થળ પર 20 એલઇડી સ્ક્રીન લગાવવામાં આવી છે. જેથી લોકો નરેન્દ્ર મોદીન સ્પષ્ટ રીતે જોઇ શકે. આ ઉપરાંત સમગ્ર દિલ્હીમાં 100થી વધારે વિડિયો સ્ક્રીન લગાવવામાં આવશે. જેથી દરેક દિલ્હી વાસી પોતાની નજીકના વિસ્તારમાં જઇને નરેન્દ્ર મોદીને સાંભળી શકે. રેલી સ્થળ પર ટીવી ચેનલ્સ માટે સ્ટુડિયો પણ બનાવવામાં આવશે.
ભાજપે દાવો કર્યો છે કે નરેન્દ્ર મોદીની દિલ્હી રેલીમાં પાંચ લાખ લોકો તેમને સાંભળવા માટે આવશે. દિલ્હી ભાજપ મોદી મેજિકને આગામી વિધાનસભા રેલીમાં ચલાવવા માંગે છે.