નીતિશકુમારના નાલંદા માટે નરેન્દ્ર મોદીના ગુજરાતની ડિઝાઇન
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર પ્રસ્તાવિત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ગોપા સભરવાલે જણાવ્યું છે કે ચાર આર્કિટેક્ટ્સની જ્યુરીએ યુનિવર્સિટીની ડિઝાઈન તૈયાર કરવા માટે અમદાવાદ સ્થિત કંપની વાસ્તુશિલ્પ કન્સલ્ટન્ટ્સની પસંદગી કરી છે. વાસ્તુશિલ્પ કન્સલ્ટન્ટ્સના સ્થાપક અને પાર્ટનર ગુજરાતના વિશ્વવિખ્યાત આર્કિટેક્ટ ડૉ. બાલકૃષ્ણ વી દોશી છે.
આ અંગે વધારે વિગતો આપતા સભરવાલે જણાવ્યું કે આ કાર્ય માટે અમે પ્રપોઝલ્સ મંગાવી હતી. અમને કુલ 79 પ્રપોઝલ્સ મળી હતી. આમારા આર્કિટેક્ટ્સની જ્યુરીમાં સિંગાપુર, ચીન, જાપાન અને ભારતના આર્કિટેક્સનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટને વર્ષ 2006માં શરૂ કરવામાં આવ્યૈ હતો. પ્રોજેક્ટનો આરંભ તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. એ પી જે અબ્દુલ કલામે કરાવ્યો હતો.
આ યુનિવર્સિટી 446 એકર જમીનમાં નિર્માણ પામી રહી છે. આ યુનિવર્સિટી રાજગીરમાં એ સ્થળથી માત્ર 10 કિલોમીટરના અંતરે બની રહી છે જ્યાં પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલય હતું. પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલય ઇ:સ 1197 સુધી અસ્તિત્વમાં હતું. પ્રાચીન નાલંદા વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરવા માટે કોરિયા, જાપાન, ચીન, તિબેટ, ઇન્ડોનેશિયા, પર્શિયા અને તુર્કીથી વિદ્યાર્થીઓ અને વિદ્વાનો આવતા હતા.