નરેન્દ્ર મોદી ફિક્કી સંમેલનમાં સંબોધશે
આ ફિક્કીની મહિલા પાંખનું સંમેલન 8 એપ્રિલે યોજાવાનું છે. આ સંમેલનમાં નરેન્દ્ર મોદી "અનલેશ ધ આંત્રેપ્રિન્યોર વિથિન, એક્સપ્લોરિંગ ન્યુ એવન્યુસ" વિષય પર સંબોધન કરશે એમ આજે ફિક્કીના અધિકારીઓએ સત્તાવાર જણાવ્યું હતું.
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ફિક્કીને એવા સમયે સંબોધવાના છે જ્યારે ગુરુવારે એટલે કે આજે રાહુલ ગાંધીએ કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકેનો કાર્યભાર હાથમાં લીધા બાદ દેશની બિઝનેસ કોમ્યુનિટીને સીઆઇઆઇના મંચ પરથી આજે પ્રથમવાર સંબોધી હતી.
નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી બંને પોત પોતાના પક્ષો અનુક્રમે ભાજપ અને કોંગ્રેસ તરફથી આગામી લોકસભા ચૂંટણી 2014 માટેના વડાપ્રધાન પદના ઉમેદવાર માનવામાં આવે છે. ત્યારે દેશ તેમને કૂતુહલ દ્રષ્ટિથી જોઇ રહ્યો છે.
સીઆઇઆઇમાં આજના સંબોધનમાં રાહુલ ગાંધીએ ભારતનો વિકાસ, સુરક્ષા અને શાસનની જરૂરિયાત જેવા વિષયોને પસંદ કર્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે માત્ર એક વ્યક્તિ કરોડો લોકોની મુશ્કેલીઓનો ઉકેલ લાવી શકે એમ નથી. તેમણે વર્તમાન વ્યવસ્થા અંગે અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે અભ્યાસના પાઠ્યક્રમ તૈયાર કરવામાં ઉદ્યોગપતિઓએ પણ સૂચનો આપવા જોઇએ અથવા તેમણે જોડાવું જોઇએ.