નરેન્દ્ર મોદીના બચાવમાં ઉતર્યા અનુપમ ખેર, રાહુલ ગાંધીને આપ્યો જડબાતોડ જવાબ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેઇનકોટ વાળા નિવેદન પર કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર કરેલા પ્રહારોનો જવાબ બોલિવૂડ એક્ટર અનુપમ ખેરે ટ્વીટ કરીને આપ્યો છે.
સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ મનમોહન સિંહ ની આડકતરી મજાક ઉડાડતાં વિવાદ સર્જાયો છે અને દિવસે ને દિવસે આ વિવાદ મોટો થતો જાય છે. એક તરફ જ્યાં રાહુલ ગાંધી સહિત આખા કોંગ્રેસ પક્ષે પીએમ મોદીના આ નિવેદનની કડક શબ્દોમાં નિંદા કરી છે ત્યાં ભાજપના ઘણા દિગ્ગજ નેતા પણ જવાબ આપવા મેદાનમાં ઉતરી આવ્યાં છે. આ બધા વચ્ચે બોલિવૂડ અભિનેતા અનુપમ ખેરે પણ નરેન્દ્ર મોદીના બચાવમાં ટ્વીટ કરતાં રાહુલ ગાંધી પર પ્રહાર કર્યો છે.
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમના નિવેદનનો વિરોધ કરતાં ટ્વીટ કર્યું હતું, હવે આ ટ્વીટના જવાબમાં અનુપમ ખેરે ટ્વીટ કરતાં લખ્યું છે, 'સોરી, પરંતુ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું અપમાન તમારાથી વધારે કોઇએ નથી કર્યું. યાદ કરો, એક પત્રકાર પરિષદમાં કઇ રીતે તમે વટહુકમ ફાડ્યો હતો.' નરેન્દ્ર મોદીના નિવેદન બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનમોહન સિંહનું આવું અપમાન કરીને પોતાના પદને કલંક લગાડ્યું છે.' રાહુલ ગાંધીના આ ટ્વીટ પર હવે અનુપમ ખેરે જવાબ આપ્યો છે.
Sorry but Nobody has insulted d Prime Minister more than you. Remember tearing d ordinance in a Press con. Unless u think you are Royalty. https://t.co/BTPY5LX2yr
— Anupam Kher (@AnupamPkher) February 9, 2017
રાજ્યસભામાં ધન્યવાદ પ્રસ્તાવ દરમિયાન નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, તેમના કાર્યકાળમાં આટલો ભ્રષ્ટાચાર થયો, પરંતુ તેમની પર એક ડાઘ પણ ના લાગ્યો. બાથરૂમમાં પણ રેઇનકોટ પહેરીને નાહવાની કળા તો ડૉક્ટર સાહેબ પાસે જ છે. નરેન્દ્ર મોદીના આ નિવેદન બાદ તુરંત જ કોંગ્રેસે સંસદમાંથી વોક આઉટ કર્યું હતું અને ત્યાર બાદ રાહુલ ગાંધી સહિત અનેક કોંગ્રેસ નેતાઓએ વડાપ્રધાનના આ નિવેદનની ટીકા કરી હતી.
અહીં વાંચો - પીએમ મોદીના 'રેઇનકોટ'વાળા નિવેદન પર ભડક્યા ઉદ્ધવ ઠાકરે
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પર નિવેદન કર્યું ત્યારે તેઓ પણ સંસદમાં હાજર હતા. આમ છતાં, તેમણે આ અંગે હજુ કોઇ પ્રતિક્રિયા આપી નથી. તો બીજી બાજુ નરેન્દ્ર મોદીએ જાતે પણ પોતાના આ વિવાદીત નિવેદન અંગે કોઇ પ્રતિક્રિયા કે સ્પષ્ટીકરણ આપ્યું નથી.