નરેન્દ્ર મોદી જ રહેશે ગુજરાતના CM, હાલ કોઇ ડેપ્યુટી CM નહીં
અમદાવાદ, 17 સપ્ટેમ્બર : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી 2014 માટે પોતાના પીએમ પદના ઉમેદવાર જાહેર કરી દીધા છે. આવામાં કહેવામાં આવી રહ્યું હતું કે ગુજરાતમાં નરેન્દ્ર મોદી હવે એક ઉપમુખ્યમંત્રીની નિયુક્તિ કરશે. જો કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસના) અને ભાજપના સૂત્રોએ હવે સ્પષ્ટ કરી દીધું છે કે વર્તમાન સમયમાં નરેન્દ્ર મોદી જ ગુજરાતના મુખ્યમંત્રી પદે ચાલુ રહેશે. આ ઉપરાંત ઉપમુખ્યમંત્રીની નિયુક્તિ કરવામાં નહીં આવે.
આ પાછળનું કારણ જણાવતા સૂત્રોએ કહ્યું કે આ પ્રકારના પગલાંથી રાજ્યમાં મોદી માટે સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે. મોદીના વિરોધીએ આ બાબતનો અંદાજો આપ્યો હતો કે જ્યારે મોદીને આટલી મોટી જવાબદારી આપવામાં આવી છે ત્યારે રાજ્યમાં મોદી પરનો કાર્યભાર હલ્કો કરવા માટે એક ઉપ મુખ્યમંત્રી બનાવવામાં આવશે.
પાર્ટી અને આરએસએસને એવું લાગે છે કે ઉપમુખ્યમંત્રી બનાવવાને કારણે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની જ તકલીફો વધી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવે તો સત્તાના બે કેન્દ્રો બને છે. જેના કારણે પ્રસાશનની સાથે સાથે રાજકારણમાં પણ પાર્ટી માટે સમસ્યા ઉભી થઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસ પહેલા નરેન્દ્ર મોદીએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે તે રાજ્યની સેવા કરવાનું જ પસંદ કરશે. આ વાતને આધાર બનાવીને હવે આરએસએસ અને ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહ જણાવી રહ્યા હતા કે મોદી ગુજરાતની સેવા આગામી લોકસભા સામાન્ય ચૂંટણીઓ સુધી કરતા રહેશે.
બીજી બાબત એ પણ છે કે પાર્ટીએ નરેન્દ્ર મોદીને ગોવા અધિવેશનમાં 2014માં લામાન્ય ચૂંટણીઓ માટે પાર્ટીની ચૂંટણી સમિતિના અધ્યક્ષ બનાવ્યા હતા. હવે મોદી આ પદ પરથી રાજીનામુ આપી દેશે.