નવી દિલ્હી, 10 એપ્રિલ : લોકસભા ચૂંટણી 2014 ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાય એટલી સંખ્યામાં મતદારોને કારણે જ પાછલી ચૂંટણીઓથી અલગ નથી. અન્ય એક બાબત પણ પાછલી ચૂંટણીઓ કરતા અલગ છે. આ બાબત એ છે કે આ વખતની સરકાર કુંવારાઓના સાથ વગર ના તો બની શકશે અને ના તો ચાલી શકશે.
ભારતમાં ચૂંટણીનો મહાકુંભ ચાલી રહ્યો છે ત્યારે અનેક પક્ષો દાવા કરી રહ્યા છે કે અત્યારે જનતાનો સાથે તેમના નેતાઓની સાથે છે. સોશિયલ મીડિયા પરનો પ્રવાહ જોઇને દરેક રાજકીય પક્ષો એવું માની રહ્યા છે કે બાજી તેમના હાથમાં છે. આ કારણે દરેક લહેર એટલી મજબૂત છે કે તેનો તોફાન કહો તો ચાલી શકે છે.
આ બધામાં એક લહેર કુંવારા નેતાઓની છે. જે જોરદાર ચાલી રહી છે. આ કુંવારા નેતાઓનો પ્રવાહ એટલો જબરદસ્ત છે કે આખ્ખી બાજી છેલ્લે બદલી શકે છે.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાહુલ ગાંધી, ઓડિશાના મુખ્યમંત્રી અને બીજી જનતા દળના સર્વેસર્વા નવીન પટનાયક, તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, એઆઇએડીએમકેના સુપ્રીમો અને તમિલનાડુમના મુખ્યમંત્રી જયલલિતા અને બહુજન સમાજ પાર્ટીના માયાવતી. આ સૌ એવા નેતા છે જેમણે અત્યાર સુધી લગ્ન કર્યા નથી.
ભાજરીત જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને અત્યાર સુધી કુંવારા સમજવામાં આવતા હતા. જો કે બુધવારે વડોદરાથી ઉમેદવારીપત્ર ભરતા સમયે આપેલા સોગંદનામામાં તેમણે પોતે પરિણિત હોવાનું જણાવ્યું છે. આ સાથે તેમણે પોતાની પત્નીનું નામ જશોદાબેન જણાવ્યું છે.
આ તમામ એવી હસ્તિઓ છે જે પોતાની પાર્ટીના સ્ટાર ચહેરા છે અને તેઓ સર્વેસર્વા પણ છે. આ કુંવારાઓના સાથ વગર દિલ્હી સરકાર બનશે તેવી કલ્પના કરવી પણ મુશ્કેલ છે. જો કે આજની તારીખમાં આ કુંવારાઓનું ગઠબંધન બનાવવું મુશ્કેલ લાગે છે.
આ કુંવારાઓની પાર્ટીઓ ભલે એક સાથે સંગઠન તરીકે સાથે ના હોય પરંતુ તેમના વગર સરકારની રચના કરવી તે અશક્ય લાગે છે. તેઓ કિંગ ભલે ના બને પણ કિંગ મેકર તો બની જ શકે છે.
ભારતના રાજકીય ઇતિહાસમાં એવું પહેલી વાર બની રહ્યું છે કે આટલી મોટી સંખ્યામાં કુંવારાઓ ચર્ચામાં છે. તેઓ જો ગઠબંધન બનાવે તો એક સાથે એક મંચ પર આવીને કામ કરી શકે છે.