નવજોત સિંહ સિદ્ધુએ કેપ્ટન અમરિન્દર સિંહ પર કર્યો પલટવાર, કહી આ વાત
પંજાબમાં કેપ્ટન અમરિન્દર સિંહ અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે વાકયુદ્ધ ઉગ્ર બની ગયુ છે.
જે રીતે એક વાર ફરીથી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો છે તે બાદ સતત કોંગ્રેસની અંદર દ્વંદ ચાલુ છે. જો કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હારની જવાબદારી લઈને અધ્યક્ષ પદેથી રાજીનામુ આપવાની રજૂઆત કરી છે પરંતુ તેમના રાજીનામાને સ્વીકારવામાં આવ્યુ નથી. આ દરમિયાન પંજાબમાં કેપ્ટન અમરિન્દર સિંહ અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે વાકયુદ્ધ ઉગ્ર બની ગયુ છે. એક વાર ફરીથી સિદ્ધુએ પોતાના ઉપર થઈ રહેલા હુમલાના જવાબ આપ્યા છે. વાસ્તવમાં પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે ચૂંટણીમાં હાર માટે સિદ્ધુને જવાબદાર ગણાવ્યા છે જેના પર સિદ્ધુએ પલટવાર કર્યો છે.

સિદ્ધુનો પલટવાર
સિદ્ધુએ પલટવાર કરીને કહ્યુ કે ચૂંટણીમાં હારની સામૂહિક જવાબદારી લેવાના બદલે માત્ર મારા વિભાગ વિશે નિવેદન આપ્યુ. તેમણે કહ્યુ કેકુલ 50 વિભાગ છે પરંતુ કોઈ પર ટિપ્પણી નથી કરી અને માત્ર મારા વિભાગ વિશે નિવેદન આપવામાં આવ્યુ, આવુ કેમ તેનો જવાબ હું નથી આપી શકતો. પરંતુ આનો બિલકુલ એવો અર્થ નથી કે હું પણ એ જ કરીશ. મે પહેલા પણ કંઈ નહોતુ કહ્યુ, હવે પણ કંઈ નહિ કહુ. મુખ્યમંત્રી પર નિશાન સાધીને સિદ્ધુએ કહ્યુ કે તે જે ઈચ્છે તે નિર્ણય લઈ શકે છે હું તેનુ પાલન કરીશ.

સિદ્ધુને ગણાવ્યા જવાબદાર
તમને જણાવી દઈએ કે આ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતા ચૂંટણી હારી ગયા છે જેમાં 9 પૂર્વ મુખ્યમંત્રી પણ શામેલ છે. વળી, 17 રાજ્યોમાં કોંગ્રેસનો સંપૂર્ણપણે સફાયો થઈ ગયો છે. પંજાબના સીએમ કેપ્ટન અમરિન્દર સિંહે હાર માટે સિદ્ધુને જવાબદાર ગણાવ્યા હતા. કેપ્ટન અમરિન્દરે કહ્યુ કે સિદ્ધુનું પાકિસ્તાની સેના પ્રમુખને ગળે લગાવવુ ભારતીયો ખાસ કરીને સૈનિકોથી સહન થયુ નહિ. ત્યારબાદ પંજાબ કોંગ્રેસના અમુક નેતાઓએ સિદ્ધુને મંત્રીમંડળમાંથી હટાવવાની માંગ પણ કરી દીધી છે.

શું છે સમગ્ર વિવાદ
વાસ્તવમાં આ આખો વિવાદ એ સમયે શરૂ થયો જ્યારે નવજોત સિંહ સિદ્ધુની પત્ની નવજોત કૌરને પંજાબની અમૃતસર સીટ પરથી કોંગ્રેસની ટિકિટ ન આપવામાં આવી. નવજોત કૌરે આરોપ લગાવ્યો હતો કે કેપ્ટન અમરિન્દર સિંહના ઈશારે તેમની ટિકિટ કાપવામાં આવી છે. આ મામલે વિવાદ વધ્યો તો નવજોત સિંહ સિદ્ધુની પ્રતિક્રિયા પણ સામે આવી અને તેમણે કહ્યુ કે તેમની પત્ની જૂઠ નહિ બોલે. આ નિવેદન વિશે લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા સીએમ અમરિન્દર સિંહે એક મોટુ નિવેદન આપતા કહ્યુ કે નવજોત સિંહ સિદ્ધુ કદાચ સીએમ બનવા ઈચ્છે છે અને તેમની જગ્યા લેવા ઈચ્છે છે એટલા માટે તે કંઈ પણ કહે છે.












Click it and Unblock the Notifications
