મુંબઈના ચેમ્બૂરમાં વરસાદને પગલે ભૂસ્ખલન, 11 લોકોનાં મોત
મુંબઈના ચેમ્બૂરમાં વરસાદને પગલે ભૂસ્ખલન, 11 લોકોનાં મોત
ગુરુવારથી મુંબઈમાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે મુંબઈના ચેમ્બૂરમાં મોટી દૂર્ઘટના સર્જાઈ છે, આ દૂર્ઘટનામાં 11 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જાણકારી મુજબ ભૂસ્ખલન થતાં આ વિસ્તારના કેટલાક ઘરની દિવાલ ટૂટી ગઈ, જેને પગલે 11 લોકોના મૃત્યુ થયાં હોવાના અહેવાલ છે. ઘટના બાદ રાહત અને બચાવ ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલે પહોંચાડવામાં આવી રહ્યા છે. જણાવી દઈએ કે મહારાષ્ટ્રના કેટલાય ભાગમાં વરસાદ પડી રહ્યો છે જેને કારણે જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે.
જાણકારી મુજબ ઘટના મોડી રાતે 1 વાગ્યાની આસપાસ થઈ, જ્યાં સતત વરસી રહેલા વરસાદના કારણે એક ઝાડ ઘરની દિવાલ પર પડી ગયું અને તેમાં કેટલાય લોકો દબાઈ ગયા. ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યાં છે અને કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કોશિશ કરવામાં આવી રહી છે. પરંતુ સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે રાહત અને બચાવ કાર્યમાં ઘણી સમસ્યા થઈ રહી છે. એનડીઆરએફની ટીમ રાહત અને બચાવ કાર્ય કરી રહી છે. અત્યાર સુધીમાં 16 લોકોને ચેમ્બૂરથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. બીજી તરફ મુંબઈના જ વિક્રોલીમાં પણ એક દૂર્ઘટના સર્જાઈ છે જ્યાં ભારે વરસાદને પગલે 3 લોકોનાં મોત થયાં છે.
મુંબઈના કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણીનો ભરાવો થઈ ગયો છે, જેને કારણે લોકોને અવર જવર કરવામાં બહુ સમસ્યા સર્જાઈ રહી છે. ગત રાતથી જ મુંબઈમાં જબરદસ્ત વરસાદ થઈ રહ્યો છે.હાલાત એવા થઈ ગયા છે કે રસ્તા પર ગાડીઓના ટાયર સુદ્ધાં ડૂબી ગયાં છે. ભારે વરસાદને કારણે રેલવે સેવાઓ પર પણ તેની અસર જોવા મળી રહી છે. મુંબઈના સાયન રેલવે ટ્રેક ભારે વરસાદના કારણે પાણીમાં ડૂબી ગયા છે, રેલવે ટ્રેક પર ગોઠણ સુધી પાણી ભરાઈ ગયાં છે.