રાયબરેલી ટ્રેન અકસ્માતઃ મૃતકોના પરિજનોને રેલવે 5 લાખ, સીએમ યોગી 2 લાખ વળતર આપશે
ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં બુધવારની સવારે મોટી રેલ દૂર્ઘટના બની ગઈ જેમાં 7 લોકોના મોત થઈ ગયા છે અને 40 લોકો ઘાયલ થઈ ગયા છે.
ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં બુધવારની સવારે મોટી રેલ દૂર્ઘટના બની ગઈ જેમાં 7 લોકોના મોત થઈ ગયા છે અને 40 લોકો ઘાયલ થઈ ગયા છે. દૂર્ઘટના બાદ ઘટના સ્થળે એનડીઆરએફની ટીમો પહોંચી ગઈ છે અને બચાવકાર્ય ચાલુ છે. ફસાયેલા લોકોને કોચમાંથી કાઢવામાં આવી રહ્યા છે જ્યારે ઘાયલોનો ઈલાજ હોસ્પિટલમાં કરવામાં આવી રહ્યો છે. યુપી સરકાર અને રેલવેએ મૃતકોના પરિવારજનોને આર્થિક મદદનું એલાન કર્યુ છે. વળી, રેલવે મંત્રી પિયુષ ગોયલે દૂર્ઘટનાની તપાસના આદેશ પણ આપ્યા છે.
રેલવેએ કર્યુ આર્થિક મદદનું એલાન
રેલવે મંત્રી પિયુષ ગોયલે મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની આર્થિક મદદનું એલાન કર્યુ છે. જ્યારે ગંભીર રીતે ઘાયલોને 1 લાખ અને સામાન્ય ઈજાગ્રસ્તોને 50 હજારની આર્થિક મદદનું એલાન કર્યુ છે. વળી, રેલવે મંત્રી પિયુષ ગોયલે આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. સીઆરસી (ઉત્તર) આ ઘટનાની તપાસ કરી રિપોર્ટ સોંપશે.
આ પણ વાંચોઃ ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં ટ્રેનનો અકસ્માત, 5નાં મોત
યોગી સરકારે પણ કર્યુ મૃતકોના પરિવારજનોને મદદનું એલાન
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના પરિવારજનોને આર્થિક મદદની ઘોષણા કરી છે. સીએમ યોગીએ મૃતકોના પરિવારજનો માટે 2 લાખની સહાયતાની ઘોષણા કરી છે. સીએમે નિર્દેશ આપ્યા છે કે ઘાયલોને ઉચિત ઈલાજ મળે અને તેમની દરેક સંભવ મદદ કરવામાં આવે.
રાયબરેલી રેલવે દૂર્ઘટનામાં અત્યાર સુધીમાં 7 ના મોત
બુધવારે સવારે ન્યૂ ફરક્કા એક્સપ્રેસના 9 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા. જે સમયે આ દૂર્ઘટના ઘટી તે સમયે મોટાભાગના યાત્રીઓ સૂઈ રહ્યા હતા. આ દૂર્ઘટના હરચંદપુર રેલવે સ્ટેશનથી 50 મીટરના અંતરે બની જેમાં સાત લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 40 લોકો ઘાયલ જણાવવામાં આવી રહ્યા છે. વળી, કોઈ પણ ષડયંત્રની આશંકાને જોતા એટીએસને પણ ઘટના સ્થળે મોકલી દેવામાં આવ્યુ છે.
આ પણ વાંચોઃ રાયબરેલી ટ્રેન દુર્ઘટના પર પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું