નીતિન ગડકરીએ વિવેકાનંદના નિવેદન પર માગી માફી
મે કહ્યું હતું કે સ્વામી વિવેકાનંદે પોતાનું આખુ જીવન માનવકલ્યાણમાં લગાવી દીધું હતું. મને એ વાતનું દુ:ખ પહોચ્યું છે કે મારી વાતને ખોટી રીતે મૂલવવામાં આવ્યું છે. હું કહેવા માંગીશ કે મે સ્વામી વિવેકાનંદની તુલના કોઇની સાથે નથી કરી. તો પણ મારા નિવેદનથી કોઇની લાગણી દુભાઇ હોય તો હું તેના માટે દિલગીરી વ્યક્ત કરું છું.
બીજી બાજુ રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના પ્રાંતિય કાર્યકારી અશોક અગ્રવાલે જણાવ્યું કે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન ગડકરી દ્વારા વિવેકાનંદ અને દાઉદ ઇબ્રાહિમના સંબંધમાં કરવામાં આવેલી ટિપ્પણી પર ખેદ વ્યક્ત કર્યા બાદ હવે આ મુદ્દામાં કઇ બાકી બચતુ નથી. અગ્રવાલે જણાવ્યું કે સ્વામી વિવેકાનંદ એક મહાન વ્યક્તિ હતા અને તેમની તુલના કોઇ પણ વ્યક્તિ સાથે થઇ શકે નહીં.
જોકે ગડકરીની સામે જામનગરમાં ફરિયાદ દાખલ
એક તરફ પક્ષમાં તેમની સામે વિરોધનો વાયરો ફૂંકાયો છે તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા તેમના પર ફિટકાર વરસાવવામાં આવી રહી છે, વાત આટલે નહીં અટકતાં હવે તેમની મુશ્કેલીમાં વધારો કરતી ફરિયાદ જામનગરમાં નોંધાઇ છે. એક જાહેર કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદ અને દાઉદના આઇક્યુ લેવલની તુલના કરતા નિવેદન બદલ જામનગરમાં તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઇ છે અને કોર્ટ પાસે દાદ માંગવામાં આવી છે. આ ફરિયાદ બે વકીલો દ્વારા કરવામાં આવી છે.