ખેડુત આંદોલનકારીઓ પર UAPA અને રાજદ્રોહના કેસ નહીં-ગૃહ મંત્રાલય
ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો સામે દિલ્હી પોલીસે રાજદ્રોહ અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ કોઈ કાર્યવાહી કરી નથી.
ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો સામે દિલ્હી પોલીસે રાજદ્રોહ અથવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (UAPA) હેઠળ કોઈ કાર્યવાહી કરી નથી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સંસદમાં આ અંગે માહિતી આપી છે. રાજ્યસભામાં CPI ના સાંસદ બિનોય વિશ્વામના સવાલના લેખિત જવાબમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે, 2020 થી 20 જુલાઈ 2021 સુધી દિલ્હી પોલીસે ખેડૂતોના આંદોલન સંદર્ભે 183 લોકોની ધરપકડ કરી હતી. જે લોકો પર આરોપ લગાવવામાં આવ્યા હતા તે તમામ જામીન પર બહાર છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, "દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, વિરોધ કરનારા ખેડૂતો વિરુદ્ધ નોંધાયેલા કોઈ પણ કેસમાં રાજદ્રોહ અથવા UAPA જેવા આતંકવાદ વિરોધી કાયદાની કોઈપણ કલમ લાગુ કરવામાં આવી નથી.
ઉલ્લેખનિય છે કે, 26 જાન્યુઆરી 2021 ના રોજ, પ્રજાસત્તાક દિવસના દિવસે, કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ ટ્રેક્ટર પરેડ કરી હતી. કેન્દ્ર સરકારે મંત્રણા દ્વારા આ પરેડ રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે થઈ શક્યું ન હતું. બાદમાં, દિલ્હી પોલીસે દિલ્હીના બાહરી વિસ્તારમાંથી ટ્રેક્ટર પરેડ કાઢવાની પરવાનગી આપી હતું. પરંતુ ટ્રેક્ટર પરેડ દરમિયાન ખેડૂતોના એક જૂથે નિયમ તોડી ટ્રેક્ટર સાથે રાજધાનીમાં પ્રવેશ કર્યો, જે લાલ કિલ્લા સુધી ગયો અને ત્યાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું, જેમાં ઘણા લોકો ઘાયલ થયા.
મે મહિનામાં દિલ્હી પોલીસે આ કેસમાં 16 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી. તેમાં અભિનેતા દીપ સિદ્ધુ અને ગેંગસ્ટરથી એક્ટિવિસ્ટ બનેલા લાખા સિધાનાના નામ સામેલ હતા અને તેઓ મુખ્ય કાવતરાખોર હોવાનું કહેવાય છે. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC) ની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો, જેમાં રાજદ્રોહ, હુલ્લડ, હત્યાનો પ્રયાસ, લૂંટ અને હિંસાનો સમાવેશ થાય છે.
કૃષિ કાયદા વિરુદ્ધ બેઠેલા ખેડૂતોના સમર્થનમાં બુધવારે સંસદમાં પણ હંગામો થયો હતો. અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસના છ સાંસદો પ્લેકાર્ડ સાથે રાજ્યસભા પહોંચ્યા અને સૂત્રોચ્ચાર શરૂ કર્યા. હંગામાને કારણે રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. હંગામો મચાવનાર છ સાંસદોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.