'ભલે દસવાર તૂટે ગઠબંધન પરંતુ મોદીના નામ પર કોઇ પીછેહટ નહીં'
નીતિશ કુમારે તાત્કાલિક પોતાના નિવાસસ્થાને બોલાવેલી કેબિનેટ મંત્રીઓની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવાયો કે તેઓ હવે 19 જૂનના રોજ વિધાનસભામાં વિશેષ સત્ર લાવીને વિશ્વાસમત લાવશે. આવું કરીને નીતિશ કુમારે પોતે બીજેપીને ભીંસમાં લઇ લીધી છે. હવે સ્થિતિ એવી સર્જાઇ છે કે ગૃહમાં બીજેપી મંત્રીઓએ જાતે પોતાનું રાજીનામું આપવું પડશે.
નીતિશ કુમારે ગઠબંધન તોડવાની જાહેરાત કરતાની સાથે બીજેપી નેતા મુક્તાર અબ્બાસ નકવીએ પત્રકારોને જણાવ્યું 'ભારતીય જનતા પાર્ટીએ તેની કાર્યકારિણીની બેઠકમાં નરેન્દ્ર મોદી અંગે જે નિર્ણય કર્યો છે તેમાં કોઇ ફેરબદલ કરશે નહીં ભલે દસવાર ગઠબંધન તોડવું પડે.'
નકવીએ નીતિશ કુમારના નિર્ણય પર જણાવ્યું કે ''દુશ્મન ના કરે દોસ્તને વો કામ કિયા હૈ... એટલે કે તેમણે નીતિશ કુમારનું નામ લીધા વગર જણાવ્યું કે તેમણે દોસ્ત બનીને દુશ્મનો જેવું કામ કર્યું છે.'
તેમજ અડવાણી અંગે તેમણે જણાવ્યું કે તેઓ પણ આ ગઠબંધન તૂટવા પર દુ:ખી છે અને તેઓ હાલમાં જેલભરો આંદોલનમાં હાજરી નહીં આપે પરંતુ તેઓ બીજેપીના આવનારા અન્ય કાર્યક્રમોમાં હાજરી આપશે.