ભ્રષ્ટાચાર કેસમાં વરિષ્ઠ અધિકારીઓની તપાસ માટે મંજૂરી જરૂરી નથી : SC
નવી દિલ્હી, 6 મે : સુપ્રીમ કોર્ટના પાંચ ન્યાયાધીશોની એક બેંચે જણાવ્યું છે કે ભ્રષ્ટાચારના આરોપોમાં સરકારના વરિષ્ઠ અધિકારીઓની તપાસ કરવા માટે આગોતરા મંજુરી લેવી જરૂરી નથી.
સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠે મંગળવારે એક ઐતિહાસિક નિર્ણય સંભળાવતા કહ્યું કે ભ્રષ્ટાચારના આરોપોમાં વરિષ્ઠ અધિકારીઓની વિરુદ્ધ તપાસ માટે સરકારની અનુમતિ લેવા સંબંધી કાયદાકીય જોગવાઇ અમાન્ય અને ગેરબંધારણીય છે.
સુપ્રીમ કોર્ટે એમ પણ જણાવ્યું કે ભ્રષ્ટાચારના કેસોમાં અધિકારીઓની વિરુદ્ધ આરોપનામુ દાખલ કરવા માટે પણ મંજુરીની જરૂર નથી.
મુખ્ય ન્યાયાધીશ આર એમ લોઢાની અધ્યક્ષતાવાળી પાંચ સભ્યોની બંધારણીય પીઠે દિલ્હી સ્પેશ્યલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ કાયદાની કલમ 6-એની જોગવાઇ પર વિચાર કર્યા બાદ આ વ્યવસ્થા અંગે વાત કરી હતી. આ કાયદા અંતર્ગત ભ્રષ્ટાચારના કેસોમાં પૂર્વ મંજૂરી વિના ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ તપાસ કરી શકાતી ન હતી.
આ બંધારણીય પીઠના સભ્યોમાં ન્યાયમૂર્તિ એ કે પટનાયક, ન્યાયમૂર્તિ એસ જે મુખોપાધ્યાય, ન્યાયમૂર્તિ દીપક મિશ્રા અને ન્યાયમૂર્તિ એફએમઆઇ કલીફુલ્લાનો સમાવેશ થાય છે.
બંધારણીય પીઠે જણાવ્યું કે અમે આ કાયદાની કલમ 6-એને ગેરકાયદેસર અને બંધારણની કલમ 14નો બંઘ કરનારી ઘોષિત કરીએ છીએ. આ કલમ અંતર્ગત સંયુક્ત સચિવ અથવા તેમનાથી ઊંચા પદ પર આસીન અધિકારીઓની વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ કાયદા અંતર્ગત આરોપની તપાસ પહેલા સરકારી મંજૂરી લેવી જરૂરી છે.