હવે 12-14 વર્ષના બાળકોને રસી આપવાની તૈયારી, માર્ચથી શરૂ થઈ શકે છે અભિયાન!
કોરોનાના વધતા જતા કેસોને જોતા દેશભરમાં બાળકોનું રસીકરણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. 3 જાન્યુઆરીથી કેન્દ્ર સરકારે 15-17 વર્ષના બાળકોને રસી આપવાની જાહેરાત કરી હતી.
નવી દિલ્હી, 17 જાન્યુઆરી ; કોરોનાના વધતા જતા કેસોને જોતા દેશભરમાં બાળકોનું રસીકરણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. 3 જાન્યુઆરીથી કેન્દ્ર સરકારે 15-17 વર્ષના બાળકોને રસી આપવાની જાહેરાત કરી હતી, ત્યારથી અત્યાર સુધીમાં આ વયજૂથના 3.31 કરોડ બાળકોને કોરોનાનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. હવે સરકાર 12 થી 14 વર્ષના બાળકોને રસી આપવાનું આયોજન કરી રહી છે. આ વિષય પર વધુ વિગતો આપતાં, નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઈઝેશન (NTAGI) કોવિડ-19 વર્કિંગ ગ્રૂપના અધ્યક્ષ ડૉ. એન.કે. અરોરાએ જણાવ્યું કે 12-14 વર્ષના બાળકોનું રસીકરણ ફેબ્રુઆરીના અંત સુધીમાં શરૂ થઈ શકે છે.
ડૉ. અરોરાએ કહ્યું કે અમારો લક્ષ્યાંક જાન્યુઆરીના અંત સુધીમાં 15-17 વર્ષની વય જૂથના તમામ 7.4 કરોડ લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવાનો છે. આ ઉપરાંત, અમે ફેબ્રુઆરીની શરૂઆતથી બીજો ડોઝ આપવાનું શરૂ કરી શકીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે આ બાળકોને ફેબ્રુઆરીના અંત સુધીમાં બીજી રસી આપવામાં આવે. તે પછી ફેબ્રુઆરીના અંતથી અમે 12-14 વર્ષના બાળકોને રસી આપવાનું શરૂ કરીશું. તેમણે કહ્યું કે નિષ્ણાતોએ લગભગ 12-17 વર્ષની વયજૂથના લોકોને કિશોર વર્ગમાં મૂક્યા છે. અમે 15-17 વર્ષની વય જૂથના તમામ કિશોરોને સુરક્ષા કવચ પ્રદાન કરવા માંગીએ છીએ. તેમના રસીકરણ પછી 12-14 વર્ષના બાળકોને રસી આપવામાં આવશે.
લોકોના આ જૂથને પ્રાધાન્ય આપવા પર તેમણે કહ્યું કે આ વય જૂથના લોકો વધુ ફરે છે, શાળા, કૉલેજમાં જાય છે અને એકબીજા સાથે ભળે છે, તેથી તેઓ ચેપનું જોખમ વધારે છે.