ભાજપના નવા ચૂંટાયેલા સાંસદો માટે સૂરજકુંડમાં તાલીમ શિબિર, મોદી આપશે તાલીમ
સૂરજકુંડ, 28 જૂન : ભાજપે તેના નવા ચૂંટાઇ આવેલા સાંસદો માટે હરિયાણાના સૂરજકુંડમાં 28 જૂન, 2014થી બે દિવસ માટે વિશેષ તાલીમ સત્રનું આયોજન કર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ નરેન્દ્ર મોદીની પાઠશાળા છે. જેમાં ભાજપના નવા સાંસદોને રાજનીતિ, સમાજજીવન, રાજકીય વ્યવહાર વગેરે વિષયોના પાઠ ભણાવવામાં આવશે. આ શિક્ષણ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ આપશે.
નરેન્દ્ર મોદીની આ પાઠશાળામાં નવા સાંસદોને ખાસ કરીને સંસદ ભવનમાં લોકસભામાં કેવી શિસ્ત જાળવવી, લોકપ્રતિનિધિ તરીકે સંસદમાં હાજરી આપતા સમયે મગજમાં કઇ બાબતોનું ધ્યાન રાખવું જેવા વિષયો પર માહિતી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવશે. આ ઉપરાંત મીડિયા સાથેના સંબંધો અને મીડિયામાં કેવી રીતે નિવેદનો આપવા અને સાંસદોના અધિકાર અને કર્તવ્ય શું છે તે અંગે પણ વાત કરવામાં આવશે. આ અંગે રાજનાથ સિંહ પણ જરૂરી ટિપ્સ આપશે.
આ તાલીમ સત્રમાં લોકસભા ચૂંટણીઓમાં સૌપ્રથમવાર ચૂંટાઇ આવેલા 162 સાંસદોને તાલીમ આપવામાં આવશે. આ ઉપરાંત તેમાં 18 રાજ્યસભા સાંસદો પણ છે. આ તાલીમ શિબિરનું સમાપન પાર્ટીના વરિષ્ઠ નેતા એલ કે અડવાણી કરશે. બે દિવસની તાલીમ શિબિરમાં કુલ 11 સત્ર હશે જેમાં મોદી, રાજનાથ સિંહ, વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ, અડવાણી જેવા વરિષ્ઠ નેતાઓ સંબોધન કરશે.
મોદી તમામ સંસદસભ્યોને ટેક્નોલોજીનું જ્ઞાન લેતા રહેવા જણાવશે. તમામ સાંસદોને પોતાનું ટ્વિટર એકાઉન્ટ રાખવા જણાવી દેવાયું છે. આ વર્કશોપમાં ભાગ લેનાર તમામ સંસદસભ્યો પાસથી એક-એક હજાર રૂપિયાનો ચાર્જ લેવામાં આવ્યો છે. ટ્રેનિંગ કેમ્પમાં તમામ સાંસદો માટે રહેવા તથા જમવાની સગવડતા કરવામાં આવી છે. જમવાનું માત્ર શુદ્ધ શાકાહારી જ મળશે.
નોંધનીય છે કે સરકાર તરફથી લોકસભામાં પ્રથમવાર ચૂંટાયેલા 315 સભ્યો માટે નવી દિલ્હીમાં 30 જૂનથી તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમનું ઉદઘાટન લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન કરવાના છે. ત્યાર બાદ 7 જૂનથી એક મહિના સુધી ચાલનારુ બજેટ સત્ર શરૂ થશે.