કોવિડ લૉકડાઉનમાં અસુરક્ષિત સેક્સથી 85 હજારથી વધુને થયો HIV, આરટીઆઈમાં સામે આવ્યો ડેટા
દેશમાં 2020-21માં કોરોના મહામારી દરમિયાન અસુરક્ષિત યૌન સંબંધ બનાવવાના કારણે 85 હજારથી વધુ લોકો એચઆઈવીનો શિકાર બન્યા છે.
નવી દિલ્લીઃ દેશમાં 2020-21માં કોરોના મહામારી દરમિયાન અસુરક્ષિત યૌન સંબંધ બનાવવાના કારણે 85 હજારથી વધુ લોકો એચઆઈવીનો શિકાર બન્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 10,498 લોકો આ દરમિયાન એચઆઈવી પૉઝિટિવ આવ્યા છે. આરટીઆઈ હેઠળ પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં નેશનલ એઈડ્ઝ કંટ્રોલ ઑર્ગેનાઈઝેશન(NACO)એ આંકડા આપ્યા છે. મધ્ય પ્રદેશના એક્ટિવિસ્ટ ચંદ્રશેખર ગૌરે આરટીઆઈ દાખલ કરીને આ સવાલ પૂછ્યા હતા.
નેશનલ એઈડ્ઝ કંટ્રોલ ઑર્ગેનાઈઝશના જણાવ્યા મુજબ 2020-21માં જ્યારે આખો દેશ લૉકડાઉનમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આ દરમિયાન 85,268 લોકો અસુરક્ષિત યૌન સંબંધ બનાવાના કારણે એચઆઈવીનો શિકાર બન્યા. આમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 10,498 લોકો એચઆઈવીથી સંક્રમિત થયા. ત્યારબાદ આંધ્ર પ્રદેશમાં 9521 એચઆઈવીની ચપેટમાં આવ્યા, ત્રીજા નંબરે કર્ણાટકમાં 8947 લોકો આ સમયાવધિમાં એચઆઈવીનો શિકાર બની ગયા. મધ્ય પ્રદેશમાં 3037 જ્યારે પશ્ચિમ બંગાળમાં 2757 લોકો એચઆઈવી પૉઝિટિવ આવ્યા.
NACOએ જણાવ્યુ કે પ્રી કે પોસ્ટ ટેસ્ટ કાઉન્સેલિંગના સમયે એચઆઈવી પૉઝિટિવ લોકો તરફથી આપવામાં આવેલા જવાબોના આધારે આઈસીટીસી કાઉન્સિલરે સંક્રમિતોની સખ્યા અને સંક્રમણના કારણોની માહિતી એકઠી કરી છે.