મરાઠી લેખક લક્ષ્મણ માને પર ત્રણ મહિલાનો બળાત્કારનો આરોપ

મહારાષ્ટ્રના સતારા જકાતવાડીમાં શારદાબાઇ પવાર આશ્રમમાં કામ કરનાર ત્રણ મહિલાઓએ આરોપ લગાવ્યો છે કે માનેએ તેમને વિશ્વાસ આપ્યો હતો કે તેઓ તેમને કન્ફોર્મ કરી દેશે. પીડિત મહિલાઓના જણાવ્યા અનુસાર તેમની મજબૂરીનો ફાયદો ઉઠાવતા વર્ષો સુધી તેમનું શારિરીક શોષણ કરવામાં આવ્યું હતું. લક્ષ્મણ માને આ આશ્રમના અધ્યક્ષ છે. આશ્રમના ટ્રસ્ટિઓની લિસ્ટમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શરદ પવારનું નામ પણ છે.
આરોપ અનુસાર, લક્ષ્મણ માનેએ વર્ષ 2007થી લઇને 2010 સુધી મહિલાઓની સાથે દુષ્કર્મ કર્યો. સતારાના એડિશનલ એસપી અમોલ તામ્બેએ જણાવ્યું કે આઇપીસીના સેક્શન 376 અંતર્ગત લક્ષ્મણ માને સામે ત્રણ અલગ-અલગ કેસ દાખલ કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે માનેની ખબર લગાવવા માટે પોલીસને મોકલવામાં આવી હતી પરંતુ તેઓ મળ્યા નહી. માનેના પુત્રનું કહેવું છે કે તેમના પિતાને ખોટા આરોપોમાં ફસાવવામાં આવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે લક્ષ્મણ માને મરાઠી સાહિત્ય જગતના નામી લેખક છે. લક્ષ્મણ માને પોતાની આત્મકથા 'ઉપરા'ના પ્રકાશન બાદ પ્રસિદ્ધિ પામ્યા હતા. જેમા તેમણે આદિવાસીઓની કથળતી હાલત અને તેમના જીવન સંઘર્ષને આબેહૂબ આલેખ્યું છે. ઉપરાને મરાઠી દલિત સાહિત્ય જગતમાં માઇલ સ્ટોન ગણવામાં આવ્યું. અને તેને 1981માં સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમણે તેમનું બીજું પુસ્તક 'બંધ દરવાજા' લખ્યું હતું. લક્ષ્મણ માનેને તેમના ઉમદા કાર્ય બદલ પદ્મશ્રી પુરસ્કારથી પણ સન્માનવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
