મુસ્લિમ પતિ-હિંદુ પત્ની સાથે ગેરવર્તણૂક કરનાર પાસપોર્ટ અધિકારીની બદલી
ઉત્તરપ્રદેશના લખનઉમાં મહિલા સાથે ધર્મના નામ પર ગેરવર્તણૂક કરનાર અધિકારી વિકાસ મિશ્રાની બદલી કરી દેવામાં આવી છે. રિજનલ પાસપોર્ટ અધિકારીના જણાવ્યા મુજબ વિકાસ મિશ્રાની બદલી કરી દેવામાં આવી છે.
ઉત્તરપ્રદેશના લખનઉમાં મહિલા સાથે ધર્મના નામ પર ગેરવર્તણૂક કરનાર અધિકારી વિકાસ મિશ્રાની બદલી કરી દેવામાં આવી છે. રિજનલ પાસપોર્ટ અધિકારીના જણાવ્યા મુજબ વિકાસ મિશ્રા સામે પગલાં લેતા તેમની બદલી કરી દેવામાં આવી છે અને કારણદર્શક નોટિસ પણ મોકલવામાં આવી છે. મિશ્રાએ તન્વી શેઠ નામની મહિલાની ધર્મના નામ પર ગેરવર્તણૂક કરી હતી અને તેને પોતાની સરનેમ બદલવા માટે કહ્યુ હતુ. એટલુ જ નહિ મિશ્રાએ તન્વીને મુસ્લિમ પતિને પોતાનો ધર્મ છોડીને હિંદુ ધર્મ અપનાવવાની સલાહ આપી હતી. તન્વી અને તેના પતિને પાસપોર્ટ પણ જારી કરી દેવામાં આવ્યો છે.
ધર્મ અંગે ગેરવર્તણૂક
લખનઉના એક પાસપોર્ટ સેવા કેન્દ્રમાં એક મહિલા સાથે ગેરવર્તણૂક કરનાર અધિકારીની બદલી કરી દેવામાં આવી છે. અધિકારી વિકાસ મિશ્રાએ તન્વી શેઠ અને તેના પતિ મોહમ્મદ અનસ સિદ્દીકી સાથે ધર્મ અંગે ગેરવર્તણૂક કરી હતી. અધિકારીએ તન્વીને કહ્યુ હતુ કે મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા બાદ તેણે પોતાનું હિંદુ નામ કેમ રાખ્યુ છે. એટલુ જ નહિ અધિકારીએ તન્વીના પતિ સાથે પણ ગેરવર્તણુક કરી. તેણે અનસને કહ્યુ કે તે પોતાનો ધર્મ બદલીને હિંદુ ધર્મ અપનાવી લે અને સાત ફેરા લઈને લગ્ન કરે. ત્યારબાદ તેનો પાસપોર્ટ રિન્યુ કરાવવામાં આવશે.
પાસપોર્ટ જારી કરી દેવામાં આવ્યા છે
સુષ્મા સ્વરાજ ઉપરાંત ખાનગી સચિવ વિજય દ્વિવેદીએ આ મુદ્દાની તપાસ માટે એએમઈએમાં પાસપોર્ટ, વિઝા અને વિદેશી ભારતીય બાબતોના સચિવ ડીએમ મુલાય પાસેથી રિપોર્ટ માંગ્યો છે. તન્વી અને અનસને ગુરુવારે પાસપોર્ટ ઓફિસ બોલાવવામાં આવ્યા હતા જ્યાં તેમને તેમના નવા પાસપોર્ટ સોંપવામાં આવ્યા છે. એક પ્રેસ કોન્ફરન્સમાં લખનઉના રિજનલ પાસપોર્ટ અધિકારીએ જણાવ્યુ કે તન્વીને પાસપોર્ટ આપી દેવામાં આવ્યો છે તેમજ અનસનો પાસપોર્ટ રિન્યુ કરી દેવામાં આવ્યો છે. અધિકારીએ કહ્યુ, "પાસપોર્ટ જારી કરી દેવામાં આવ્યા છે. આરોપી અધિકારી સામો કારણદર્શક નોટિસ જારી કરવામાં આવી છે અને તેમની સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. અમને આ ઘટના અંગે ખેદ છે અને અમે તે સુનિશ્ચિત કરીએ છીએ કે આવી ઘટના ફરીથી નહિ થાય."
પીએમ મોદી અને સુષ્મા સ્વરાજ પાસે ન્યાય માંગ્યો હતો
ઉલ્લેખનીય છે કે આ ઘટનાથી દુઃખી તન્વીએ પીએમ મોદી અને સુષ્મા સ્વરાજ પાસે ન્યાય માંગ્યો હતો. તન્વીએ પોતાના ટ્વિટમાં લખ્યુ હતુ કે લખનઉ પાસપોર્ટ ઓફિસમાં વિકાસ મિશ્રા દ્વારા ધર્મના નામ પર કરાયેલા અપમાનજનક વ્યવહારથી મને ખૂબ દુઃખ થયુ છે. તન્વી શેઠે 2007 માં મુસ્લિમ યુવક અનસ સિદ્દીકી સાથે લગ્ન કર્યા હતા. તેની છ વર્ષની દીકરી પણ છે. તન્વીએ આરોપ લગાવ્યો હતો કે જે સમયે પાસપોર્ટ અધિકારી તેમને ધર્મના નામ પર અપમાનિત કરી રહ્યા હતા ત્યારે તેમના સાથી કર્મચારીઓએ પણ તેમના પર ઘણી અપમાનજનક વાતો કહી.