પવન બંસલને પાણીચું અપાશે, અશ્વિની કુમારનું ખાતું બદલાશે : સૂત્રો

સૂત્રોનું કહેવું છે કે કેબિનેટની ફેરબદલમાં બંસલને હટાવવામાં આવશે. અશ્વિની કુમારનું ખાતું બદલી દેવામાં આવશે. આ સમગ્ર ફેરફાર અંગેની જાહેરાત આવતા સપ્તાહ સુધીમાં થઇ શકે છે. વાસ્તવમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી બંને પ્રધાનોને તેમના પદ પર ચાલુ રાખવા માટે તૈયાર નથી. જ્યારે બીજી તરફ વડાપ્રધાન મનમોહન સિંહ આ બંને પ્રધાનોના રાજીનામા લેવાથી બચવા માંગે છે. આ વિકટ સ્થિતિમાં કેબિનેટમાં ફેરબદલનો સહારો લેવામાં આવશે.
રેલવે પ્રધાન પવન બંસલ ગુરુવારે સાંજે યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં સામેલ થયા ન હતા. આ સાથે જ અટકળો વહેતી થઇ હતી કે તેમને મંત્રી પદથી દૂર કરવામાં આવશે. બંસલ ગુરુવારે અશોક રોડ સ્થિત પોતાના આવાસે જ રહ્યા હતા અને પોતાના કાર્યાલય પણ ગયા ન હતા. બંસલની નજીકના સૂત્રોનું કહેવું છે કે તેમની તબિયત સારી નથી.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઇ)એ રેલવે બોર્ડના સભ્ય મહેશકુમારના સભ્ય (ઇલેક્ટ્રિક)ના રૂપમાં નિયુક્તિ માટે બંસલના ભાણિયા વિજય સિંગલાને રૂપિયા 90 લાખ લાંચ આપવાના બહાર આવેલા કૌભાંડ પ્રકરણમાં તપાસ કરી રહી છે. જોકે બંસલે આ પ્રકારની કોણ પણ અનિયમિતતાથી ઇનકાર કર્યો છે. તેમણે એમ પણ જણાવ્યું છે કે સિંગલા સાથે તેમના કોઇ કારોબારી સંબંધ નથી.












Click it and Unblock the Notifications
