માત્ર 2 બાળકોની નીતિની માંગ પર PIL
નિષ્ણાતોનું માનવું છે કે કૂદકે અને ભૂસકે વધી રહેલી વસતી પર નિયંત્રણ ત્યારે જ લાવી શકાશે જ્યારે દરેક પરિવાર માત્ર બે બાળકોની નીતિ અપનાવશે. આ નીતિને કાયદેસર અમલી બનાવવા માટે અલ્હાબાદ હાઇકોર્ટમાં એક પીઆઇએલ દાખલ કરવામાં આવી છે. આ પીઆઇએલ અંગેની સુનવણી સોમવારે ચીફ જસ્ટિસ શિવ કિર્તીસિંહ અને જસ્ટિસ ડી કે અરોરાની બેંચમાં કરવામાં આવશે.
આ પીઆઇએલ સમાજસેવિકા નૂતન ઠાકુરે અલ્હાબાદ હાઇકોર્ટની લખનૌ બેંચમાં કરી છે. પીઆઇએલમાં માંગણી કરવામાં આવી છે કે દેશની રાષ્ટ્રીય જનસંખ્યા નીતિ અંતર્ગત પરિવારમાં માત્ર બે બાળકોની નીતિને અમલી બનાવવી જોઇએ. તેનો અમલ કરવાની સાથે તેનો જોરશોરથી પ્રચાર કરવામાં આવે અને નિયમ તોડનારાઓ માટે ચોક્કસ દંડ નક્કી કરવામાં આવે.
પીઆઇએલ 446/2013માં કહેવામાં આવ્યું છે કે ભારતમાં જનસંખ્યા વિસ્ફોટ એક વાસ્તવિક સમસ્યા છે. વર્તમાન સમયમાં રાષ્ટ્રીય જનસંખ્યા નીતિ અસ્પષ્ટ છે અને તે જનસંખ્યા નિયંત્રણ કરવાના પોતાના નિર્ણયમાં સફળ રહી નથી. આથી હવે મહત્તમ બે બાળકોની નીતિ અપનાવવા સિવાય અન્ય માર્ગ રહ્યો નથી.