વડાપ્રધાન મનમોહન સિંહ રાજ્યસભામાં ચૂંટાઇ આવ્યા
આસામમાં રાજ્યસભાની બે બેઠકો માટે આજે સવારથી મતદાન થયું હતું. તેમાંથી એક બેઠકનાં ઉમેદવાર વડા પ્રધાન મનમોહન સિંહ હતા. આ બેઠક પર મનમોહન સિંહની જીત નિશ્ચિત જ માનવામાં આવી રહી હતી. તેમની જીતથી કોંગ્રેસે રાહત અનુભવી છે, કારણ કે અસંતુષ્ટો ખેલ બગાડી નાખશે એવો ભય હતો.
આસામમાં 126 વિધાનસભ્યોમાંથી 112 સભ્યોએ મતદાનમાં ભાગ લીધો હતો. અસોમ ગણ પરિષદ અને ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ મતદાન કર્યું નહોતું. બીજી બેઠક પર કોંગ્રેસનાં એસ. કુજૂર પણ વિજયી થયા છે. તેમને 45 મત મળ્યા છે. વડા પ્રધાન હાલ વિદેશ યાત્રા પર ગયા છે. જાપાનની ચાર દિવસની યાત્રા પૂરી કરી લીધા બાદ તે હવે થાઈલેન્ડ પહોંચ્યા છે.
વિધાનસભામાં 15 મેએ ચૂંટણી અધિકારીની સામે વડા પ્રધાને 40 વિધાન સભ્યોનાં સમર્થનવાળા નોમિનેશન પત્રનાં ચાર સેટ દાખલ કર્યા હતા અને 23 મેએ આ નોમિનેશન પત્રોને યોગ્ય ઠેરવાયા હતા. ચૂંટણી પંચ વતી 13મેએ બહાર પાડેલ જાહેરનામા પ્રમાણે, આવનાર ત્રણ જૂન સુધી ચૂંટણી પ્રક્રિયા પૂરી કરવાની છે.