PM મોદીનો અખિલેશ પર કટાક્ષ, કેટલાક લોકોની પ્રાથમિકતા રિબિન કાપવાની હોય છે!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બલરામપુર ખાતે 9,800 કરોડના ખર્ચે સરયૂ નહેર રાષ્ટ્રીય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. સરયુ કેનાલ પ્રોજેક્ટથી રાજ્યના 09 જિલ્લાના લગભગ 25 લાખ ખેડૂતોને ફાયદો થશે.
બલરામપુર, 11 ડિસેમ્બર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બલરામપુર ખાતે 9,800 કરોડના ખર્ચે સરયૂ નહેર રાષ્ટ્રીય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. સરયુ કેનાલ પ્રોજેક્ટથી રાજ્યના 09 જિલ્લાના લગભગ 25 લાખ ખેડૂતોને ફાયદો થશે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધતા સપા અધ્યક્ષ અખિલેશ યાદવ પર કટાક્ષ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું, કેટલાક લોકોની પ્રાથમિકતા માત્ર રિબિન કાપવાની હોય છે.
પીએમ નરેન્દ્ર મોદી મંચ પરથી જનસભાને સંબોધી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, આજે જ્યારે હું દિલ્હીથી નીકળ્યો ત્યારે સવારથી રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે કોઈ આવે અને કહે કે મોદીજી મેં આ યોજનાની રિબિન કાપી હતી. કેટલાક લોકોને એવું કહેવાની આદત હોય છે, તેમણે બાળપણમાં આ યોજનાની રિબિન કાપી હોય. કેટલાક લોકોની પસંદગી રિબિન કાપવાની હોય છે.
આ દરમિયાન કુશીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે કુશીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટની ફાઈલો વર્ષોથી ચાલી રહી હતી, પરંતુ આ એરપોર્ટ શરૂ કરવાનું કામ પણ ડબલ એન્જિન સરકારે કર્યું. સમાજવાદી સરકાર પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે, પહેલાની સરકારો માફિયાઓને પ્રોટેક્શન આપતી, બાહુબલિયોને પ્રોત્સાહિત કરતી અને જમીન પર ગેરકાયદેસર કબજો મેળવતી, પરંતુ આજે યોગીની સરકાર માફિયાઓને સાફ કરવામાં, ગરીબો, દલિત, પછાત અને આદિવાસીઓને સશક્તિકરણ કરવામાં વ્યસ્ત છે.
આ દરમિયાન મંચ પરથી બોલતા પીએમએ કહ્યું કે આ (સરયુ કેનાલ) યોજના પર કામ લગભગ 50 વર્ષ પહેલા શરૂ થયું હતું. પરંતુ આ કામ હવે પૂર્ણ થઈ ગયું છે. જ્યારે આ પ્રોજેક્ટ પર કામ શરૂ થયું ત્યારે તેની કિંમત 100 કરોડથી ઓછી હતી, આજે લગભગ 10,000 કરોડ ખર્ચ્યા બાદ તે પૂર્ણ થયું છે. અગાઉની સરકારોની બેદરકારી માટે દેશને 100 ગણી વધુ કિંમત ચૂકવવી પડી છે.