મોદી કાશ્મીર માટે મોટું પેકેજ જાહેર કરશે
નવી દિલ્હી, 23 ઓક્ટોબર : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પૂરગ્રસ્ત કાશ્મીર માટે મોટા પેકેજની જાહેરાત કરી શકે છે. તેઓ આજે પૂરપીડિતો સાથે દિવાળી ઉજવવા માટે અને તેમની સાથે પોતાની સંવેદના દર્શાવવા માટે શ્રીનગર પહોંચશે.
વડાપ્રધાન મોદી પોતાની કાશ્મીર મુલાકાતમાં કાશ્મીરના પૂર પીડિતો ઉપરાંત સિયાચીન ગ્લેશિયર પર ફરજ બજાવતા ભારતીય લશ્કરના જવાનોને પણ મળશે અને દિવાળીની શુભેચ્છા પાઠવશે. આ માટે તેમની સાથે ભારતીય લશ્કરના ચીફ જનરસ દલબિર સિંહ પણ હશે.

દિલ્હી સ્થિત તેમના સરકારી નિવાસસ્થાન પર આજે સવારથી જ મોટી સંખ્યામાં લોકો તેમને દિવાળીની શુભેચ્છાઓ આપવા પહોંચી રહ્યા છે. બીજી તરફ વડાપ્રધાન કાર્યાલયના કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ શ્રીનગર પહોંચી ગયા છે. તેમણે વડાપ્રધાનની શ્રીનગર મુલાકાતના સંદર્ભમાં ડ્રેસ રિહર્સલ કર્યું હતું. ડૉ. જિતેન્દ્ર સિંહે કાશ્મીરના રાજ્યપાલ એનએન વહોરા સાથે મુલાકાત કરીને નરેન્દ્ર મોદીની કાશ્મીર મુલાકાતની રૂપરેખા તૈયાર કરી હતી.
કહેવામાં આવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે શ્રીનગર એરપોર્ટ પહોચશે. ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેલિકોપ્ટરનો ઉપયોગ નહીં કરે તો તેઓ હૈદરપોરા, રામબાગ, જવાહરનગર, રાજબાગ , ગુપકાર અને બુલવોર્ડના માર્ગે થઇને રાજભવન પહોંચશે.
વડાપ્રધાનની મુલાકાતના સંદર્ભમાં સમગ્ર વાદીમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. પોતાની મુલાકાતમાં નરેન્દ્ર મોદી રાહત અને પુનર્વાસના કાર્યોની સમીક્ષા કરવાની સાથે રાજભવનમાં પૂરપીડિતો અને વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિમંડળો સાથે પણ મુલાકાત યોજશે.
નોંધનીય છે કે નરેન્દ્ર મોદીની કાશ્મીર મુલાકાતના સંદર્ભમાં અલગતાવાદી જુથ હુર્રિયત કોન્ફરન્સના નેતા સૈયદ અલી શાહ ગિલાનીએ ગુરુવારે સંપૂર્ણ બંધ પાળવાની અપીલ કરી છે. ગિલાનીએ જણાવ્યું છે કે દિવાળીના દિવસે નરેન્દ્ર મોદીની કાશ્મીર મુલાકાત બીજુ કશું નહીં પણ સાંસ્કૃતિક આક્ર્મણ છે.












Click it and Unblock the Notifications
