ગામની શક્તિને જોડતું વિકાસનું મોડલ બનાવવાનો પ્રયત્ન: PM મોદી
બુધવારે દિલ્હી ખાતે નાનાજી દેશમુખના જન્મશતાબ્દી સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું.
બુધવારે દિલ્હી ખાતે નાનાજી દેશમુખના જન્મશતાબ્દી સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં નાનાજી દેશમુખ અંગે માહિતી આપતાં કેટલાક કિસ્સા વર્ણવ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, 'નાનાજી દેશમુખે દેશ માટે પોતાનું જીવન અર્પણ કર્યું. લોકનાયક જયપ્રકાશ નારાયણ યુવાઓની પ્રેરણા હતા. પટનામાં એકવાર એવી સ્થિતિ આવી હતી કે, જયપ્રકાશજી ઉપર બહુ મોટો હુમલો થયો હતો અને નાનાજીએ તેમનું રક્ષણ કરતા પોતાના હાથ પર હુમલો ઝીલી લીધો હતો. આ કારણે તેમના હાથના હાડકા તૂટી ગયા, પરંતુ તેમણે જયપ્રકાશજીને બચાવી લીધા હતા.'
રાજકીય જીવનથી દૂર રહ્યાં નાનાજી
'દેશ આઝાદ થયા બાદ મોટા-મોટા લોકો સત્તા મેળવવા માટે આતુર હતા, પરંતુ જયપ્રકાશજી એનાથી દૂર રહ્યાં. નાનાજી દેશમુખે દેશને પોતાનું સંપૂર્ણ જીવન આપ્યું, પરંતુ બહુ ઓછા લોકો એમને ઓળખે છે. જયપ્રકાશજીએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલન છેડી, આખી દિલ્હીમાં ઉહાપોહ ઊભો કર્યો હતો. તેમને બચાવવા માટે નાનાજી જાતે ઇજાગ્રસ્ત થયા. દેશ માટે કંઇ કરી છૂટવાના મંત્ર સાથે તેમણે યુવાનોને આમંત્રિત કર્યા. તેમને તેમણે ગ્રામ્ય વિકાસના કામમાં પરોવ્યા. નાનાજીએ મંત્રી પરિષદમાં જોડાવાની ના પાડી દીધી હતી, તેઓ રાજનૈતિક જીવનથી હંમેશા દૂર રહ્યાં હતા. 60 વર્ષની ઉંમર બાદ તેમણે પોતાનું જીવન ચિત્રકૂટ અને ગ્રામીણ વિકાસ માટે જ વિતાવ્યું હતું.'
ગ્રામ્ય વિકાસ અંગે સરકાર ગંભીર
'લોકતંત્ર ત્યારે જ સફળ થાય છે જ્યારે જનભાગીદારીથી વિકાસ થાય અને સરકાર સાથે જનતાનો સંવાદ થાય. જે રાજ્યોમાં વધારે ગરીબી છે, ત્યાં મનરેગાનું કામ ઓછું થાય છે. જે રાજ્યોમાં સુશાસન છે ત્યાં એનું કામ વધુ થાય છે. હવે મોબાઇલ એપ 'દિશા'થી દરેક વ્યક્તિ ઉપર સુધી પોતાની વાત પહોંચાડી શકે છે. 18 હજાર ગામો એવા હતા, જે આજના જમાનામાં પણ 18મી શતાબ્દીમાં જીવતા હતા. અમે કહ્યું હતું કે, દરેક ગામમાં વીજળી પહોંચશે અને અમે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યાં છીએ. ગામડાઓનો વિકાસ કઇ રીતે કરવો એ અંગે સરકાર ગંભીર છે. અમારા પ્રયત્નો છે કે, ગામની પોતાની જે શક્તિ છે, સૌથી પહેલાં એને જ જોડતાં વિકાસનું મોડલ બનાવવામાં આવે. જે સગવડો શહેરમાં છે, એવી જ અમે ગામમાં આપીએ તો ક્વોલિટી ઓફ લાઇફમાં પરિવર્તન આવશે, જે લોકોને ગામમાં રહેવા માટે પ્રેરિત કરશે.'
છેવાડાના માણસ સુધી પણ તેના હક પહોંચાડી શકાય છે
'આપણા દેશમાં સંસાધનોને કારણે છેવાડાના નાગરિકોને આપણે કંઇ નથી આપી શકતા. આજે ભારત સરકારમાં આવ્યા બાદ હું આ વાત સાથે સંમત નથી. ભારતના છેલ્લા છેવાડાના માણસ સુધી પણ તેના અધિકારો પહોંચાડી શકાય છે. આપણે સમજવું પડશે કે, માત્ર ઇચ્છવાથી વાત પૂરી નથી થતી. જો આપણે સમયસર કાર્યો કરીએ તો 70 વર્ષોમાં ગ્રામીણ વિકાસની જે ગતિ હતી, તે 2022માં એટલી વધશે કે ગ્રામીણ વ્યક્તિઓના જીવનમાં પરિવર્તન આવશે.'