પ્રધાનમંત્રી મોદી 28-29 જુલાઈએ ગુજરાત અને તમિલનાડુનો પ્રવાસ કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 અને 29 જુલાઈના રોજ તેમના ગૃહ રાજ્ય ગુજરાત અને દક્ષિણ રાજ્ય તામિલનાડુની મુલાકાત લેશે
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 અને 29 જુલાઈના રોજ તેમના ગૃહ રાજ્ય ગુજરાત અને દક્ષિણ રાજ્ય તામિલનાડુની મુલાકાત લેશે અને અનેક વિકાસ પ્રોજેક્ટ્સનુ ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ મોદી 44માં ચેસ ઓલિમ્પિયાડ અને અન્ના યુનિવર્સિટીના 42મા દીક્ષાંત સમારોહનુ પણ ઉદ્ઘાટન કરશે.
PMOએ જણાવ્યુ હતુ કે 28 જુલાઈએ બપોરે 12 વાગે પ્રધાનમંત્રી મોદી ગુજરાતના સાબરકાંઠામાં ગંધોડા ચોકી પર સ્થિત સાબર ડેરીના રૂ.1000 કરોડની કિંમતના અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. PMO દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ આ પ્રોજેક્ટ્સ સ્થાનિક ખેડૂતો અને દૂધ ઉત્પાદકોને સશક્ત બનાવશે અને તેમની આવકમાં વધારો કરશે. આ સાથે પ્રદેશના ગ્રામીણ અર્થતંત્રને પણ વેગ મળશે. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચેન્નાઈ જશે અને ત્યાં જવાહરલાલ નહેરુ ઇન્ડોર સ્ટેડિયમમાં 44માં ચેસ ઓલિમ્પિયાડની શરૂઆત કરશે.
સાબર ડેરીની ક્ષમતા પ્રતિદિન 1.20 લાખ ટન જેટલી છે. પીએમઓએ કહ્યું કે બીજા દિવસે 29 જુલાઈએ વડાપ્રધાન સવારે 10 વાગ્યે અન્ના યુનિવર્સિટીના 42માં દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે. આ પછી તેઓ ગુજરાતના ગાંધીનગર જશે. પ્રધાનમંત્રી ગાંધીનગરમાં ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી) ખાતે દેશના પ્રથમ આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જનુ લોકાર્પણ કરશે. આ દરમિયાન તેઓ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટીના હેડક્વાર્ટર બિલ્ડિંગનો શિલાન્યાસ પણ કરશે.