અધ્યાદેશ મુદ્દે PM-રાહુલ વચ્ચે બેઠક પૂરી : 11.30 વાગે રાષ્ટ્રપતિ સાથે ચર્ચા
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર બંને વચ્ચે અંદાજે 25 મીનિટ સુધી બેઠક ચાલી હતી. બંને વચ્ચે બંધ બારણે થયેલી બેઠક અંગે વિગતો બહાર આવી નથી. કલંકિત નેતાઓ અંગેના અધ્યાદેશ અંગે રાહુલ ગાંધીને નારાજગીને પગલે વડાપ્રધાને તેમની સાથે ચર્ચા કરી હતી.
આ વાતચીત બાદ હવે વડાપ્રધાન સવારે 11.30 કલાકે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને મળવા માટે રાષ્ટ્રપતિ ભવન જવાના છે. કારણ કે આજે રાષ્ટ્રપતિ બેલ્જિયમ યાત્રા પર જવાના છે. આજે દિવસે કોંગ્રેસની કોર કમિટીની બેઠક પણ યોજાશે જેમાં આ વટહુકમ અંગે ઉભા થયેલા પ્રશ્નોની ચર્ચા યોજવામાં આવશે.
આ દરમિયાન અહેવાલ મળી રહ્યા છે કે વટહુકમને પાછો ખેંચવાની દિશામાં કામ થઇ રહ્યું છે. આજે સાંજે આ મુદ્દે કેબિનેટની બેઠક પણ મળી રહી છે. બેઠકમાં કાયદા મંત્રાલય દ્વારા રાખવામાં આવેલા બે પ્રસ્તાવો પર પણ ચર્ચા કરવામાં આવશે. પ્રથમ દરખાસ્તમાં રાષ્ટ્રપતિના નિર્ણયની રાહ જોવાનું જ્યારે બીજી દરખાસ્તમાં વટહુકમને પાછો ખેંચી લેવાની વાત કહેવામાં આવી છે.