વડાપ્રધાન 22 મેએ રજૂ કરશે UPA-2નું રિપોર્ટ કાર્ડ

આ રિપોર્ટ કાર્ડમાં હાલમાં મેળવેલી સિદ્ધિઓનો ઉલ્લેખ કરવામાં આવશે. રિપોર્ટ કાર્ડમાં રીટેલમાં એફડીઆઇ અને ડાઇરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમનો ઉલ્લેખ કરવામાં આવે તેવી પુરી શક્યતા છે. લોકસભાની ચૂંટણી આડે હવે વધારે દિવસો રહ્યા નથી ત્યારે કોંગ્રેસના હતાશ થયેલા કાર્યકરોમાં નવો ઉત્સાહ જગાવવાના હેતુસર આ રિપોર્ટ કાર્ડ રજૂ કરવામાં આવશે એમ માનવામાં આવે છે.
કેબિનેટ પ્રધાન પવન કુમાર બંસલ, અશ્વિની કુમારની હકાલપટ્ટીના કારણે તેમજ અનેક કોંભાંડોના કારણે પ્રતિષ્ઠા સ્વચ્છ કરવાની બાબત સરળ નથી છતાં સરકાર આવા પ્રયાસો કરવાના પ્રયાસમાં છે. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને યુપીએ ધટક પક્ષોના નેતાઓ ડિનરમાં હાજર રહેશે. જે દરમિયાન વડાપ્રધાન સિંહ યુપીએ 2ની ચોથી વર્ષગાંઠના પ્રસંગે રિપોર્ટ કાર્ડ રજૂ કરશે.
સોનિયા ગાંધી વડાપ્રધાનને મજબુત ટેકાની ખાતરી આપશે. હાલમાં તેમની વચ્ચે તીવ્ર મતભેદોના અહેવાલ આવ્યા હતા. જો કે પાર્ટીએ આવા અહેવાલોને રદિયો આપ્યો હતો. વડાપ્રધાન આ પ્રસંગે કેટલીક નવી યોજનાની પણ જાહેરાત કરી શકે છે જે પૈકી નેશનલ ફુડ સિક્યુરિટી બિલ અને જમીન અધિગ્રહણ બિલનો સમાવેશ થાય છે.
આગામી લોકસભાની ચૂંટણીમાં મતદારોને તેમની તરફ આકર્ષિત કરવાના પ્રયાસરૂપે આ બિલ અંગે જાહેરાત કરવામાં આવી શકે છે. તળણમૂળ અને ડીએમકેના સભ્યો આ ડીનર પાર્ટીમાં હાજર રહેશે નહી કારણ કે બન્ને ધટક પક્ષો પહેલાથી જ યુપીએ સાથે છેડો ફાડી ચુક્યા છે. આગળ પડકારો હોવા છતાં મણીશકંર અય્યર જેવા કેટલાક પ્રધાનો સંતુષ્ઠ દેખાઇ રહ્યા છે. કોંગ્રેસના સભ્યો માને છે કે વિભાજિત વિપક્ષના કારણે કોઇ ખતરો નથી. સૌથી પહેલા ઉત્તરાખંડ, ત્યારબાદ હિમાચલ પ્રદેશ અને હવે કર્ણાટકમાં પક્ષની જીત થઇ છે.












Click it and Unblock the Notifications
