સીઆરપીએફ કેમ્પ હુમલામાં પોલીસે ત્રીજા શકમંદની ધરપકડ કરી
પોલીસે બારામૂલાથી પ્રદીપસિંહ નામના એક સરકારી કર્મચારીની ધરપકડ કરી છે. એવું માનવામાં આવે છે કે પ્રદીપસિંહે બંને આતંકવાદીઓને શરણ આપી હતી. સીઆરપીએફ કેમ્પ પર થયેલા આતંકવાદી હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાના પુરાવાઓ વધારે પ્રબળ બનતા જઇ રહ્યા છે. અત્યાર સુધીમાં પોલીસ ત્રણ લોકોની ધરપકડ કરી ચૂકી છે. શ્રીનગરમાં થયેલા હુમલામાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા અને પાંચ સીઆરપીએફ જવાનો શહીદ થયા હતા.
પાકિસ્તાની વિદેશમંત્રાલય તરફથી બુધવારે મોડી સાંજે આવેલા એક નિવેદનમાં કહેવાયું છે કે પાકિસ્તાન ભારતીય ગૃહસચિવ આર.કે.સિંહના એ આરોપોને રદિયો આપે છે કે શ્રીનગરના બેમિના વિસ્તારમાં આવેલી પોલીસ પબ્લિક સ્કૂલ વિસ્તારમાં સીઆરપીએફના કેમ્પ પર હુમલો કરના બે આતંકવાદીઓ પાકિસ્તાની હતા.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મને લાગે છે કે ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ તરફથી આપવામાં આવતા આવા પ્રકારના બેજવાબદારીભર્યા નિવેદન થકી બંને દેશો વચ્ચેના સંબંધો પર અસર પડી શકે છે.
તેમણે જણાવ્યું કે પાકિસ્તાન પોતે આતંકવાદનો શિકાર છે અને કોઇ પણ રીતે આતંકવાદી ઘટનાઓની નિંદા કરે છે અને સાથે સાથે ભારત સરકારને અપીલ કરે છે કે આ પ્રકારના આરોપ લગાવ્યા પહેલા મામલાની સંપૂર્ણ તપાસ કરાવે, કારણ કે આવા પ્રકારના આરોપોની પ્રતિકૂળ અસર પડી શકે છે.