કરનાલ પર પ્રદર્શન કરી રહેલ ખેડૂતો પર પોલીસે કર્યો લાઠીચાર્જ, રાહુલ બોલ્યા- આજે હિન્દુસ્તાનનું માથુ ઝુક્યુ
હરિયાણાના કરનાલ જિલ્લામાં ખેડૂતો પર પોલીસે લાઠીચાર્જ કર્યા બાદ રાજ્યના ઘણા જિલ્લાઓમાં ઉગ્ર પ્રદર્શન શરૂ થયું છે. ખેડૂતોએ ઘણી જગ્યાએ રસ્તા બંધ કરવાનું શરૂ કરી દીધું છે. દરમિયાન, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ ઘટનાને લઈને કે
હરિયાણાના કરનાલ જિલ્લામાં ખેડૂતો પર પોલીસે લાઠીચાર્જ કર્યા બાદ રાજ્યના ઘણા જિલ્લાઓમાં ઉગ્ર પ્રદર્શન શરૂ થયું છે. ખેડૂતોએ ઘણી જગ્યાએ રસ્તા બંધ કરવાનું શરૂ કરી દીધું છે. દરમિયાન, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ ઘટનાને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું છે કે, "ખેડૂતનું લોહી વહેવા લાગ્યું, ભારતનું માથું શરમથી ઝૂકી ગયું".
કેજરીવાલે કર્યું ટ્વીટ
રાહુલ ગાંધી ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કરીને પોલીસની આ કાર્યવાહીની નિંદા કરી છે. એક ટ્વીટમાં કેજરીવાલે કહ્યું, "આ રીતે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા ખેડૂતો પર લાઠીચાર્જ કરવો એકદમ ખોટુ છે."
પંચકુલા-શિમલા હાઇવે બંધ
કરનાલમાં ખેડૂતો પર થયેલા લાઠીચાર્જ બાદ હરિયાણામાં ઘણી જગ્યાએ રસ્તાઓ બ્લોક થયા હોવાના અહેવાલો છે. ખેડૂતોએ પંચકુલામાં ચંડીમંદિર ટોલ પ્લાઝા પર કબજો કરી લીધો છે અને પંચકુલા-શિમલા હાઇવે બ્લોક કરી દીધો છે. આ સિવાય સમાચાર મળી રહ્યા છે કે રોહતક-પાણીપત હાઇવે પણ ખેડૂતો દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે.
વરુણ ગાંધીએ આ કાર્યવાહીને ખોટી ગણાવી
ભાજપના સાંસદ વરુણ ગાંધીએ પણ કરનાલમાં પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે. કરનાલના ડીએમનો વીડિયો શેર કરતી વખતે તેમણે લખ્યું કે મને આશા છે કે આ વીડિયો એડિટેડ હશે અને ડીએમે આવું કહ્યું નહી હોય... નહીં તો લોકશાહી દેશમાં આપણા નાગરિકો સાથે આ પ્રકારનો વ્યવહાર થવો જોઈએ તે સ્વીકાર્ય નથી.
Haryana: Farmers block Panchkula-Shimla Highway near Chandimandir Toll Plaza in Panchkula to protest the lathi charge in Karnal pic.twitter.com/ZmcPXU93xp
— ANI (@ANI) August 28, 2021
કરનાલમાં ખેડૂતો પર પોલીસની બર્બરતા કેમ જોવા મળી
તમને જણાવી દઈએ કે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર સહિત ભાજપના ઘણા મોટા નેતાઓ શનિવારે કરનાલ પહોંચ્યા હતા, જ્યાં તેઓ એક બેઠકમાં ભાગ લેવાના હતા. સીએમ સહિત ભાજપના ઘણા નેતાઓનો અહીં ખેડૂત સંગઠનોએ વિરોધ કર્યો હતો. ખેડૂતોએ કરનાલ ટોલ પ્લાઝા પર ભાજપના પ્રદેશ પ્રમુખ ઓપી ધનખરને કાળા ઝંડા બતાવીને વિરોધ કર્યો હતો. ખેડૂતોના આ પ્રદર્શનને કારણે પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ શરૂ કર્યો હતો.