રાજકીય પક્ષોને મળતા 75 ટકા દાનનો સ્રોત અજ્ઞાત
નેશનલ ઇલેક્શન વૉચ દ્વારા દેશના 6 ટોચના રાજકીય પક્ષો ઉપર આરોપ મૂકવામાં આવ્યો છે કે તેઓને 75 ટકા જેટલું દાન અજાણ્યાસ્ત્રોતો તરફથી મળી રહ્યું છે. તેથી તેઓ આ બાબત સાથે જોડાયેલી માહિતી જાહેર કરે. આ અંગે નેશનલ ઇલેક્શન વૉચના પ્રવકતા ત્રિલોચન શાસ્ત્રી અને જગદીપ ચોકે જણાવ્યું છે કે રાજકીય પક્ષોએ માહિતીના અધિકાર હેઠળ તમામ માહિતી આપવી જોઇએ. આનાથી ચૂંટણી પ્રક્રિયા અને લોકતંત્ર સશકત થશે.
તેમણે જણાવ્યું કે કોંગ્રેસ, ભાજપ, બસપા, એનસીપી, ભાકપા અને માકપાને વર્ષ 2004-05 થી 2011-12 વચ્ચે કુલ 4895.96 કરોડની આવક થઇ હતી. પરંતુ આ પક્ષો દ્વારા આયકર વિભાગને આપેલી માહિતી અનુસાર આ રકમમાંથી 3674.50 કરોડ રૂપિયા અજાણ્યાસ્ત્રોતોથી મળ્યા હતા. કોંગ્રેસને સૌથી વધુ રકમ રૂપિયા 1951.07 કરોડ અજાણ્યાસ્ત્રોત પાસેથી મળ્યા છે. એનસીપીને રૂપિયા 181.48 કરોડ મળ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પાર્ટીઓને મળતા મોટાભાગના દાન રોકડમાં મળતા હોય છે. કોંગ્રેસને 2008 અને 2012 વચ્ચે માત્ર 9.62 ટકા દાન ચેકથી મળ્યું હતું. ભાજપને મળેલા કુલ દાનના 67 ટકા રોકડમાં મળ્યું હતું. એનસીપીને મળેલું 83 ટકા ફંડ રોકડમાં હતું. રાજકીય પક્ષોને બિરલા સમૂહના જનરલ ચૂંટણી ટ્રસ્ટ, ટાટા સન્સના ઇલેકટોરલ ટ્રસ્ટ, ભારતીય ઇલેકટોરલ ટ્રસ્ટ, સત્યા ઇલેકટોરલ ટ્રસ્ટ, હારમોની ઇલેકટોરલ ટ્રસ્ટ અને કોર્પોરેટ ઇલે. ટ્રસ્ટથી 2006થી 2012 દરમિયાન દાન મળ્યું હતું.