મોદી અને સોનિયા વચ્ચે જયપુરમાં રેલી દ્વારા શક્તિ પ્રદર્શન
જયપુર, 26 ઓગસ્ટ : લોકસભા ચૂંટણી 2014 જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પ્રવૃત્તિઓમાં ગરમાવો આવી રહ્યો છે. દેશના મુખ્ય રાજકીય પક્ષો કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) વચ્ચે રસાકસીનો માહોલ જામી રહ્યો છે. બંને પક્ષો પોતાના શક્તિ પ્રદર્શન માટેની તૈયારીઓ કરી રહ્યા છે. લોકસભા ચૂંટણી 2014ને માટેનું પ્રથમ શક્તિ પ્રદર્શન સપ્ટેમ્બર મહિનામાં જોવા મળે આવી શક્યતા છે. આ શક્તિ પ્રદર્શન ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ નરેન્દ્ર મોદી અને સોનિયા ગાંધી વચ્ચે યોજાવાનું છે. આ શક્તિ પ્રદર્શન પર સૌની નજર રહેલી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપ તરફથી જયપુરમાં 10 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપની રાષ્ટ્રીય ચૂંટણી પ્રચાર સમિતીના અધ્યક્ષ નરેન્દ્ર મોદીની વિશાળ રેલી યોજવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.
બીજી તરફ ભાજપની જંગી રેલીની તૈયારીઓ વચ્ચે રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસે પણ આવતા મહિને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની રેલીનું એલાન કરી દીધું છે. કોંગ્રેસે રાજ્ય કક્ષાની રેલી ઉપરાંત ડિવિઝન હેડક્વાર્ટરોમાં પણ રેલી અને સભાઓના આયોજનમાં સોનિયા અને રાહુલ ઉપરાંત અન્ય કેન્દ્રીય નેતાઓને બોલાવવાનો નિર્ણય કર્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ ડિવિઝન હેડક્વાર્ટર પર મોદીની રેલીવાળા દિવસે જ મોટી રેલીનું આયોજન કરી શકે છે. આમ આ દિવસે જનતાને બંને મુખ્ય પક્ષો અને દિલ્હીની ગાદી માટેના પ્રબળ દાવેદાર પક્ષો વચ્ચે શક્તિ પ્રદર્શન જોવા મળશે. કારણ કે એક જ દિવસે રેલીનું આયોજન કર્યું હોવાથી નરેન્દ્ર મોદી વધારે લોકોને આકર્ષી શકે છે કે કોંગ્રેસના સોનિયા અને રાહુલ ગાંધી તે બાબતને આધારે રાજકીય વિશ્લેષકો આગામી ચૂંટણીમાં કોનું પલડું ભારે રહેશે તે અંગેની ગણતરી કરશે.