દેશમાં નરેન્દ્ર મોદીની કોઇ લહેર નહી: પ્રિયંકા
નવી દિલ્હી, 10 એપ્રિલ: ભાજપ અને આપની જીતના પોત-પોતાના દાવાઓ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની પુત્રી પ્રિયંકા ગાંધીએ મતદાન કર્યા બાદ કહ્યું હતું કે તેમને લાગતું નથી કે દેશમાં નરેન્દ્ર મોદીની કોઇ લહેર છે.
આજે પ્રિયંકા લોધી કોલોની સ્થિત પોલીંગ બૂથ પરથી મતદાન કર્યા બાદ નિકળી અને જ્યારે કેટલાક પત્રકારોએ એક સાથે પ્રિયંક ગાંધીને પૂછ્યું કે શું તમને નરેન્દ્ર મોદીની લહેર જોવા મળી રહી છે તો તેમણે સ્પષ્ટ કહ્યું કે 'બિલકુલ નહી...ક્યારેય નહી...મને લાગતું નથી કે આ ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની કોઇ લહેર છે.'
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ગાંધીને કોંગ્રેસના તમામ કાર્યકર્તા પાર્ટીમાં સામેલ કરવાની માંગ કરતા રહ્યાં છે, પરંતુ હાલ પ્રિયંકા ગાંધી રાજકારણમાં સક્રિય રીતે સામેલ થવા માંગતી નથી. જો કે તે પોતાના ભાઇ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી માટે પ્રચાર કરી રહી છે અને આગામી દિવસોમાં તે રાયબરેલીમાં જઇને નુક્કડ સભા કરી સોનિયા ગાંધી માટે વોટ માંગશે.
પ્રિયંકા ગાંધીની સાથે તેમના પતિ રોબર્ટ વાઢેરા પણ આજે મતદાન કરવા માટે બૂથ પર પહોંચ્યા હતા. આ પત્રકારોએ રોબર્ટ વાઢેરાને જમીન ગોટાળા સંબંધિત પ્રશ્ન પૂછ્યા, પરંતુ રોબર્ટ વાઢેરાએ નો કમેન્ટ બોલીને પ્રશ્નનો જવાબ આપવાની મનાઇ કરી દિધી હતી.