પ્રિયંકા ગાંધી UPના ફુલપુરમાંથી લોકસભા ચૂંટણી લડશે?
નવી દિલ્હી, 15 ઓક્ટોબર : કોંગ્રેસ ભલે પ્રિયંકા ગાંધીની ચૂંટણી લડવાની વાત તો ઠીક પણ દેશભરમાં ચૂંટણીના પ્રચારમાં ઉતરવાની વાતને પણ નકારી રહી હોય. જો કે અલ્હાબાદ જિલ્લા કોંગ્રેસ કમિટી યુપીના ફુલપુરથી પ્રિયંકા ગાંધીને ચૂંટણી લડાવવા ઇચ્છી રહી છે. જિલ્લા કોંગ્રેસ કમિટીએ આ બાબતની દરખાસ્ત પણ પાસ કરી દીધી છે. જિલ્લા કમિટીના અધ્યક્ષે પોતાની દરખાસ્ત કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને મોકલી આપી છે.
નોંધનીય છે કે આ બેઠકને નહેરુ ગાંધી પરિવારની પારંપરિક બેઠક માનવામાં આવે છે. અહીંથી જ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત નહેરુ ચૂંટણી જીતતા હતા. આ અંગે ન્યુઝ ચેનલોના અહેવાલ અનુસાર ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની સામે પ્રિયંકા ગાંધીને ઉતારવાના સમાચારોને કોંગ્રેસ ભલે નકારી રહી હોય પરંતુ કોંગ્રેસના કાર્યકરો જ સ્વયં ઇચ્છે છે કે પ્રિયંકા ગાંધી રાજકારણમાં સક્રિય બને અને પાર્ટીને મજબૂત બનાવે.
અલ્હાબાદ જિલ્લા કોંગ્રેસ કમિટીએ પ્રિયંકા ગાંધીને ફૂલપુરની સીટ પર ટિકીટ આપવાની ભલામણ કરી છે. આ અંગે જિલ્લા કોંગ્રેસ કમિટીનું કહેવું છે કે અમે પ્રિયંકાને ફૂલપુરથી ચૂંટણી લડાવવા અને જીતાડવા માટે કોઇ પણ હદ સુધી જઇ શકીએ તેમ છીએ. આ સીટ નહેરુ ગાંધી પરિવારની પારિવારિક બેઠક રહી છે. છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ અહીં ચૂંટણી હારી રહી છે. હવે સમય આવી ગયો છે કે અહીં ગાંધી નહેરુ પરિવારના કોઇ સભ્યને ચૂંટણી લડાવવામાં આવે. પ્રિયંકા ગાંધી આ બેઠક માટે સૌથી યોગ્ય ઉમેદવાર છે. જો કે આ અંગે કોંગ્રેસ હાઇ કમાન્ડે મૌન સેવ્યું છે. કોંગ્રેસે સ્પષ્ટતા પણ કરી છે કે પ્રિયંકા સમગ્ર દેશમાં કોંગ્રેસનો પ્રચાર કરવાને બદલે માત્ર રાયબરેલી અને અમેઠીમાં જ ચૂંટણી પ્રચાર અભિયાનમાં જોડાશે.