રઘુરામ રાજનનું મોટુ નિવેદન, કહ્યું-ચીનની જગ્યા લેવાનો ભારતનો વિચાર અપરિપક્વ
રઘુરામ રાજને કહ્યું છે કે, વૈશ્વિક આર્થિક વૃદ્ધિને પ્રભાવિત કરવાના સંદર્ભમાં ભારત ચીનનું સ્થાન લેશે તેવું વિચારવું અપરિપક્વતા હશે. તેમણે આગળ કહ્યું કે, ચીનની સરખામણીમાં ભારતની અર્થવ્યવસ્થા હજુ પણ ઘણી નાની છે.
નવી દિલ્હી : આર્થિક ક્ષેત્રના જાણીતા નિષ્ણાત અને ભારતીય રિઝર્વ બેંકના પુર્વ ગવર્નર રઘુરામ રાજન તેના નિવેદનો માટે જાણીતા છે. ઘણી વખત રઘુરામ રાજન ભારત સરકારની આર્થિક નિર્ણયોને લઈને આલોચના કરી ચુક્યા છે. હવે ફરી એક વખત તેમને પોતાની વાત રાખી છે. રઘુરામ રાજને વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દરમિયાન જણાવ્યુ છે કે ચીનની જગ્યા લેવાની ભારતની સોચ અપરિપક્વ છે.
રઘુરામ રાજને કહ્યું છે કે, વૈશ્વિક આર્થિક વૃદ્ધિને પ્રભાવિત કરવાના સંદર્ભમાં ભારત ચીનનું સ્થાન લેશે તેવું વિચારવું અપરિપક્વતા હશે. તેમણે આગળ કહ્યું કે, ચીનની સરખામણીમાં ભારતની અર્થવ્યવસ્થા હજુ પણ ઘણી નાની છે. જો કે રઘુરામ રાજને આગળ કહ્યું કે, આગળ જતા સ્થિતી બદલાઈ શકે છે. ભારત પહેલેથી જ વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને તેની વૃદ્ધિ ચાલુ રાખશે તો ભવિષ્યમાં સ્થિતી બદલાઈ શકે છે.
રઘુરામ રાજનનું આ નિવેદન દાવોસમાં ચાલી રહેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દરમિયાન આવ્યુ છે. અહીં મીડિયા સાથે વાત કરતા રઘુરામ રાજને કહ્યું કે, ચીનના અર્થતંત્રમાં થોડો સુધારો વૈશ્વિક આર્થિક વૃદ્ધિની સંભાવનાને વેગ આપશે.
અહીં રઘુરામ રાજને કહ્યું કે, હજુ 12 મહિના બાકી છે અને આ સમય દરમિયાન ચીનમાં સ્થિતિ સુધરવી એ સારી બાબત હશે. ચીન હાલ મહામારીનો સામનો કરી રહ્યું છે અને આ વર્ષે માર્ચ-એપ્રિલ સુધીમાં સ્થિતિમાં સુધારો થઈ શકે છે. જો તેનું ઉત્પાદન સુધરશે તો તે અન્ય દેશોમાં પણ કિંમતો ઘટવામાં મદદ મળશે.
અહીં રઘુરામ રાજને કેટલીક બાબતો પર ભાર મુકતા કહ્યું કે, હાલ શ્રમ બજાર સિવાય નીતિ નિર્માતાઓની નજર હાઉસિંગ ક્ષેત્ર પર કેન્દ્રિત છે. અહીં તેમણે અમેરિકાનો ઉલ્લેખ કરીને જણાવ્યુ કે, ત્યાં મકાનોનું વેચાણ ન થયું હોવા છતાં ભાવ ઘટી રહ્યા નથી. તેમણે કહ્યું કે, જો રશિયાના રાષ્ટ્રપતિ પુતિન યુદ્ધ બંધ કરવાનો નિર્ણય લેશે તો ચોક્કસપણે પરિસ્થિતિ સુધરી શકે છે.