મોદી-શાહને રાહુલ ગાંધીની મજાક ઉડાવવી પડી ભારે, કારણ નાળિયેરી
ભાજપ નેતાઓ તરફથી કરવામાં આવેલા પ્રહારો પર પલટવાર કરતાં કોંગ્રેસે રાહુલ ગાંધીના ભાષણનો વીડિયો બહાર પાડ્યો છે. કોંગ્રેસે આ વીડિયો દ્વારા નરેન્દ્ર મોદી અને અમિત શાહને એક્સપોઝ કરવાનો પ્રયત્ન કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ ને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ની મજાક ઉડાવવી ભારે પડી છે. રાહુલ ગાંધીના જે નાળિયેર જ્યૂસવાળા નિવેદનની આ બંન્ને નેતાઓ મજાક ઉડાવતા હતા, એવું કોઇ નિવેદન રાહુલ ગાંધીએ ક્યારેય કર્યું જ નથી. પીએમ મોદી અને અમિત શાહ બંન્નેએ બુધવારે અલગ-અલગ જનસભા સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીની મજાક ઉડાવી હતી અને જનતાને સવાલ કર્યો હતો કે, શું ક્યારેય કોઇએ નાળિયેર જ્યૂસ વિશે સાંભળ્યું છે?

યુપીમાં પીએમ મોદીએ ઉડાવી હતી મજાક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુપીએ મહરાજગંજમાં આયોજિત રેલીમાં કહ્યું હતું કે, શું તમે ક્યારેય નાળિયેર જ્યૂસ જેવી વસ્તુ વિશે સાંભળ્યું છે? કોંગ્રેસના નેતા ખૂબ કમાલના છે. કાલે તેમણે (રાહુલ ગાંધીએ) એક મોટી ઘોષણા કરી છે. તેમણે કહ્યું કે, હવે તેઓ નાળિયેરનો જ્યૂસ કાઢશે અને લંડનમાં વેચશે. ગરીબમાં ગરીબ માણસને ખબર હશે કે નાળિયેરમાંથી જ્યૂસ નહીં પાણી નીકળે છે. જ્યૂસ તો લીંબુ, સંતરા, નારંગી જેવા ફળોમાંથી નીકળે છે.

અમિત શાહે પણ ઉડાવી હતી મજાક
ભાજપ અધ્યક્ષ અમિત શાહે બુધાવારે ઇમ્ફાલમાં એક ચૂંટણી સભામાં નાળિયેર જ્યૂસ અંગે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, 'કાલે રાહુલ બાબા અહીં આવ્યા હતા. તેમણે કહ્યું કે, મણિપુરથી નાળિયેર જ્યૂસ વિદેશોમાં મોકલવામાં આવશે. શું તમે નાળિયેરનો જ્યૂસ જોયો છે? અરે ભાઇ રાહુલ, અહીં અનાનસ મળે છે.'

રાહુલ ગાંધીએ નાળિયેરનું નામ પણ નથી લીધું
ભાજપ નેતાઓ તરફથી થઇ રહેલા આ પ્રહારો સામે પલટવાર કરતાં કોંગ્રેસે રાહુલ ગાંધીના એ ભાષણનો વીડિયો જાહેર કર્યો છે. કોંગ્રેસે આ વીડિયો થકી નરેન્દ્ર મોદી અને અમિત શાહને એક્સપોઝ કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે અને સાથે જ તેમણે કહ્યું કે, 'ભાજપ ખોટો પ્રચાર કરી રહ્યું છે. રાહુલ ગાંધીએ નાળિયેર વિશે કોઇ વાત નથી કરી. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, અહીં તમે લિંબુ ઉગાડો છો, નારંગી ઉગાડો છો, અનાનસ ઉગાડો છો. હું આશા રાખું છું કે, એક દિવસ એવો આવશે જ્યારે લંડનમાં બેસીને કોઇ અનાનસનો જ્યૂસ પીશે, જેના લેબલ પર લખ્યું હશે 'મેડ ઇન મણિપુર'.
કોંગ્રેસનો વીડિયો
રાહુલ ગાંધીના જે નિવેદનનો ઉલ્લેખ કરીને તેમની મજાક ઉડાવાઇ રહી છે, તે મીડિયાએ ખોટી રીતે રજૂ કર્યો છે. મીડિયાએ નારંગીની જગ્યાએ નાળિયેર લખીને રાહુલ પર સવાલ ઉઠાવ્યા હતા. કોંગ્રેસે રાહુલ ગાંધીનું સંપૂર્ણ ભાષણ જાહેર કર્યું છે. જે તમે પણ અહીં જોઇ શકો છો.













Click it and Unblock the Notifications
