રાહુલ વિદેશી છે જે રજા ગાળવા ભારત આવે છે: સંજય રાઉત
મુંબઇ, 15 મે: શિવસેના નેતા સંજય રાઉતે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની વિરુધ્ધ વિવાદિત નિવેદન કર્યું છે. તેમણે વડાપ્રધાન મનમોહન સિંહની ફેરવેલ ડિનર પાર્ટીમાં રાહુલની ગેરહાજરી પર સવાલ ઉઠાવ્યા અને જણાવ્યું કે રાહુલ ગાંધી વિદેશી છે જે માત્ર રજા ગાળવા માટે ભારત આવે છે.
તેમણે જણાવ્યું કે દેશમાં એટલી મોટી રાજકીય હલચલ થઇ રહી છે અને તેમને અહીંથી કોઇ લેવા દેવા નથી માટે તેમણે વડાપ્રધાનના સન્માનમાં આયોજિત ડિનર પાર્ટીમાં પણ ભાગ લેવાનું પણ યોગ્ય ના સમજ્યું. સંજય રાઉતે જણાવ્યું કે રાહુલ ભારતમાં માત્ર રજા માણવા જ આવે છે અને પછી મોજમસ્તી કરવા વિદેશ જતા રહે છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના વડાપ્રધાન મનમોહન સિંહને આપેલા વિદાઇ જમણવારમાં રાહુલ ગાંધી હાજર રહ્યા ન્હોતા. બુધવારે 10 જનપથ પર થયેલા આ આયોજનમાં રાહુલની ઉપસ્થિતિને લઇને છેલ્લા સમય સુધી રહસ્ય અકબંધ રહ્યું, પરંતુ બાદમાં જણાવવામાં આવ્યું તેઓ દિલ્હીથી બહાર છે.

કહેવામાં આવી રહ્યું છે કે તેઓ વિદેશ યાત્રા પર છે અને શુક્રવારે મતગણતરી શરૂ થતા પહેલા ભારત પરત ફરશે. રાહુલની ગેરહાજરીનું કારણ પૂછવા પર કેન્દ્રીય મંત્રી કમલનાથે જણાવ્યું કે આ અંગે હું કંઇ ના કહી શકું. બીજી બાજું ગૃહરાજ્ય મંત્રી આરપીએન સિંહે જણાવ્યું કે આની પર પણ રાજનીતિ કરવી દુર્ભાગ્યપૂર્ણ છે.












Click it and Unblock the Notifications
